Thursday, 11 January 2018

સ્વામી વિવેકાનંદ નું યુવાનોને આહવાન....

“જરૂર છે મર્દોની, સાચા મર્દોની; બીજું બધું તો થઇ રહેશે, પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને અણિશુદ્ધ નિષ્ઠાથી ઉભરતા નવ યુવકોની જરૂર છે. જો આવા સો નવયુવકો મળી આવે તો જગતની સૂરત પલટી જાય....” આ શબ્દો છે યુવાઓના પ્રેરણામૂર્તિ ભારતના યુગદ્રષ્ટા સ્વામી વિવેકાનંદના. એક ભાષણમાં સ્વામીજીએ યુવાનોને આહ્વાન કરતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા. આ જગતનો ઉદ્ધાર યુવાનો દ્વારા જ થશે તેવો તેમને વિશ્વાસ હતો.
૨૧મીસદીનું વર્તમાન વિશ્વ એક  નવયૌવનનો સ્પંદન-ધબકાર અનુભવી રહ્યું છે. તાજેતરમાં જ પ્રતિષ્ઠિત બ્રિટીશ ડીક્ષનરી ઓકસફોર્ડ Youth Quake    શબ્દને વર્ષ ૨૦૧૭ નો વર્ડ ઓફ યર જાહેર કર્યો. સર્વગ્રાહી રીતે જોઈએ તો વિશ્વભરમાં તમામ ક્ષેત્રોમાં Youth Quake  થયો છે. દરેક ક્ષેત્રમાં આજે યુવાનોની સક્રિયતા વધી છે. યુવાનો પરિવર્તનના વાહક બન્યા છે. સમાજ્જીવનના તમામ ક્ષેત્રો ચાહે રાજકારણ હોય, બીઝનેસ હોય, પત્રકાર-લેખનનું ક્ષેત્ર હોય કે ફિલ્મ એમ દરેક ક્ષેત્રમાં યુવાનોએ પ્રવેશ કર્યો અને ક્રાંતિ કરી છે.
યુવાનો પાસે અખૂટ શક્તિનો ભંડાર છે. આજે યુવાનો એક એવા આદર્શને શોધી રહ્યા છે જેમના માર્ગદર્શનથી પોતાનો, પરિવારનો, દેશ અને સમાજનો સ્વસ્થ વિકાસ કરી શકે. આવા સમયે સ્વામીજીનું જીવન, તેમની ઓજસ્વી વાણીના શબ્દો વગેરે  સાહિત્ય રૂપે ઉપલબ્ધ છે તેનું ચિંતન યુવાનો ને પ્રેરણા રૂપ બની શકે તેમ છે..સ્વામીજીના ચુંબકીય વ્યક્તિત્વના કારણે તેમના દર્શન માત્રથી હતાશ યુવાનોમાં ઉર્જાનો સંચાર થતો હતો.
યુવાનો સ્વામીજીનો અભ્યાસ કરે તો તેમના જીવનની એક વાત ઉભરીને આવે છે, તે છે સંઘર્ષમય જીવન. ત્તેમનું ૩૯ વર્ષનું ટુકું  જીવન સતત સંઘર્ષમય હતું.તેમને દરેક બાબતોનો સંઘર્ષ કરવો પડ્યો હતો,કોઈપણ ચીજ તેમને સહજ મળી નહોતી; જે મળી તેનો પણ સહજતાથી સ્વીકાર ન કર્યો.રામકૃષ્ણ પરમહંસ જેવા પરમ જ્ઞાની ગુરુ તેમને મળ્યા તો પણ તેમનો સહજતાથી સ્વીકાર ન કરતાં અનેક કસોટી કરી હતી. આપણે સૌ યુવાનો પોતાના જીવનમાં સંઘર્ષ માટે કેટલા પ્રતિબદ્ધ છીએ?....સૌએ ચિંતન કરવાની આવશ્યકતા છે.
સ્વામીજીએ એક સદી પહેલા કરેલ આર્ષવાણીને યાદ કરીએ...”હું ભવિષ્ય જોતો નથી, પરંતુ એક દર્શન સ્પષ્ટ રીતે મારી સામે નજરે પડે છે; આપણી પુરાતન માતા ફરી જાગૃત થઇ છે અને પૂર્ણ પ્રાણવાન તથા પ્રતાપવાન  બની  પોતાના સિહાસન પર બિરાજી છે...” તેમના  સપનાને પૂરા કરવાનો સંકલ્પ આપણે સૌએ કરવાનો છે. આની પૂર્તિ માટે તેમને યુવાનો પર અખૂટ વિશ્વાસ હતો.  તેમણે કહ્યું હતું, “મારી સંપૂર્ણ આશાઓ નવી યુવા પેઢીમાં કેન્દ્રિત થઇ છે. આ લોકોમાંથી જ કાર્યકરો મળશે  જે સિંહની જેમ પરાક્રમ કરી બધી જ સમસ્યાઓને ઉકેલશે...”
જો વર્તમાન સમયમાં ભારતના યુવાનો સ્વામીજીના બતાવેલા સુત્રોને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્વમાં અગ્રણી બનવામાં વાર નહિ લાગે. સ્વામી વિવેકાનંદજી ની જયંતિ આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વિશ્વને યુવાશક્તિથી સમૃધ્ધ કરીએ.

2 comments: