Friday, 1 April 2022

સંઘ વટવૃક્ષનું બીજ ડો. હેડગેવાર

 

ભારતીય સમાજજીવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તથા એનું સૈદ્ધાંતિક પાસુ ઘણા વર્ષોથી ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે. રાષ્ટ્રહિતમાં વિચારનારી સજ્જનશક્તિ સંઘનો વધતો વ્યાપ જોઈ ભારતના ભાવિ વિશે આશ્વસ્ત થઈ સંઘ સાથે જોડાઇ રહી છે, અથવા સંઘ દ્વારા ચાલતા વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય બનવા ઉત્સુક થઈ રહી છે. સંઘની વેબસાઈટ પર  જોઈન આર.એસ.એસ’ પ્લેટફોર્મ  દ્વારા જોડાનારા યુવાનોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધતી જાય છે. આનાથી સંઘના વધતા વ્યાપનો અંદાજ લગાવી શકાય છે. સંઘની આ પ્રકારે વધી રહેલી શક્તિનું કારણ શાશ્વત સત્ય પર આધારિત સંઘનો શુધ્ધ રાષ્ટ્રીય વિચાર તથા તેના માટે તન મન ધનથી સમર્પણ ભાવે કામ કરનારા કાર્યકર્તાઓની અખંડ શ્રુંખલા  છે.

 કોઈપણ સંગઠનના  તત્વજ્ઞાન, વૈચારિક દ્રષ્ટિકોણ, સંગઠનાત્મક સંસ્કૃતિ વગેરે પાસાઓને સમજવા માટે એના સંસ્થાપકનો જીવનક્રમ તથા એનો વૈચારિક પક્ષ પણ સમજવો આવશ્યક હોય છે. સંઘ તથા એના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવાર એકબીજાના પર્યાય છે. સંઘ પોતાના સમકાલીન સંગઠનોથી કેવી રીતે અલગ હતો તેમજ એની વૈચારિક પૃષ્ઠભૂમિ તથા દ્રષ્ટિકોણનો મર્મ શું હતો એ બાબત ડૉક્ટર હેડગેવારના જીવન પ્રસંગો તથા તેમનો દ્રષ્ટિકોણ જાણ્યા વિના સમજવી અઘરી છે.

 ૧ એપ્રિલ, ૧૮૮૯ ...ચૈત્ર શુક્લ પ્રતિપદાના પાવન દિવસે નાગપુરમાં જન્મેલા કેશવ બલિરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા.. બાલ્યાવસ્થાથી જ કેશવના મનમાં અંગ્રેજો પ્રત્યે ગુસ્સો તથા દેશને સ્વતંત્ર જોવાની અદમ્ય ઇચ્છા હતી. આવું તેમના અનેક પ્રસંગો પરથી કહી શકાય. શાળાકીય જીવન દરમિયાન પોતાની નિર્ભયતા, દેશભક્તિ તથા સંગઠન કુશળતાનો પરિચય સૌને કરાવ્યો હતો. યુવાનીમાં ડોક્ટરનો અભ્યાસ કરવા તેઓ ક્રાંતિકારી આંદોલનનું કેન્દ્રસ્થાન કલકત્તા  ગયા અને ત્યાં ખૂબ જ ઝડપથી ક્રાંતિકારી આંદોલનની સંસ્થા અનુશીલન સમિતિમાં પોતાનું નામ પણ પ્રસ્થાપિત કરી દીધું. ૧૯૧૬માં અભ્યાસ પૂર્ણ કર્યા  બાદ ઘરની આર્થિક સ્થિતિ સંપન્ન ન હોવા છતાં ડોક્ટરનો વ્યવસાય કે વિવાહ કરવાનો વિચાર ત્યાગી પૂર્ણ શક્તિથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા.

 સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એ કોઈ પણ સમાજ માટે અત્યંત આવશ્યક વિષય છે, પરંતુ તે ચિરસ્થાયી રહે તથા સમાજ આવનારા બધા જ સંકટોનો સફળતાપૂર્વક સામનો કરી શકે તે માટે રાષ્ટ્રીય ગુણોથી યુક્ત અને  વિજયની આકાંક્ષા રાખી પુરુષાર્થ કરનારા સ્વાભિમાની સંગઠિત સમાજનું નિર્માણ કરવું ખૂબ જરૂરી અને મૂળભૂત કાર્ય છે એવા વિચાર સાથે ડોક્ટરજીએ ૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. સંપૂર્ણ ભારતમાં પ્રવાસ કરી  અથાગ પરિશ્રમ દ્વારા પોતાના જીવનકાળ દરમિયાન  ૧૫ વર્ષમાં સંપૂર્ણ ભારતમાં સંઘકાર્યનો વિસ્તાર કરવામાં તેઓ સફળ રહ્યા.

 સામૂહિક ગુણોની ઉપાસના તથા સામૂહિક અનુશાસન સ્વયંસેવકોમાં નિર્માણ કરવાના હેતુથી તેમણે દૈનંદિન શાખા સ્વરૂપે અભિનવ કાર્યપદ્ધતિનો વિકાસ કર્યો. ભારતીય પરંપરામાં નવા એવા સમાન ગણવેશ, સંચલન, ઘોષ, શિબિર વગેરે કાર્યક્રમોને સંઘકાર્યનો ભાગ બનાવ્યો. માત્ર શબ્દોથી નહિ પરંતુ આચરણથી શીખવવાની તેમની કાર્યપદ્ધતિ હતી. સંઘકાર્ય પર થનારી આલોચનાની અનદેખી કરી વાદવિવાદમાં પડ્યા વિના બધા જ સાથે આત્મીય સંબંધ કેળવવાનો તેમનો આગ્રહ રહેતો. પ્રસિદ્ધિની ચિંતા કર્યા વિના સંઘકાર્યના પરિણામથી જ લોકો સંઘકાર્યને મહેસૂસ કરશે, તેને સમજશે તથા સહયોગ અને સમર્થન આપશે એવું તેઓ માનતા હતા.

 ડૉક્ટર હેડગેવાર વિશે  અનેક પ્રકારની ભ્રમણાઓ ઊભી કરવામાં આવી. એ પૈકી એક એમના સ્વતંત્રતા આંદોલનથી વેગળા રહેવા વિશેની છે. આ ભ્રમ  સત્યથી કેટલુ દૂર છે તેનું અનુમાન તેમના જીવન દરમિયાન તેમણે સ્વતંત્રતા આંદોલનમાં વિવિધ પ્રકારે ભજવેલી ભૂમિકા પરથી કરી શકાય. ૧૯૨૦માં નાગપુરમાં કોંગ્રેસ અધિવેશનની વ્યવસ્થાની જવાબદારી ડોક્ટરજી પાસે હતી. કોંગ્રેસની પ્રસ્તાવ સમિતિ સામે તેમણે ભારત માટે પૂર્ણ સ્વતંત્રતા અને વિશ્વને મૂડીવાદીઓની ચુંગાલમાંથી મુક્ત કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો.....૧૯૨૧ માં બ્રિટીશ સરકારે તેમના પર ઐતિહાસિક રાજદ્રોહનો ખટલો દાખલ કર્યો તેમાં તેમણે એક વર્ષ સશ્રમ કારાવાસ ભોગવ્યો... ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વમાં શરૂ થયેલ સવિનય કાનૂનભંગમાં તેમણે વિદર્ભમાં જંગલ સત્યાગ્રહમાં સ્વયંસેવકોની સાથે રહી ભાગ લીધો તથા નવ મહિના સુધી જેલવાસ પણ ભોગવ્યો. સંઘકાર્યની શરૂઆત થયા પછી પણ સ્વતંત્રતા પ્રાપ્તિ માટેના તત્કાલીન બધા જ આંદોલન સાથે તેઓ સંપર્કમાં તો હતા જ પરંતુ વ્યક્તિગત રીતે પણ સ્વયંસેવકો સાથે સહભાગી થતા હતા.

જ્યારે પણ કોઈ અત્યંત પ્રભાવશાળી વ્યક્તિનું નિધન થાય છે ત્યારે તેની સાથે સંકળાયેલ સંગઠન કે સંસ્થાને ક્યારેય પૂર્ણ ન થનારી ખોટનો સામનો કરવો પડતો હોય છે. સંઘ બાબતે પણ તેના મિત્રો અને ઈર્ષાભાવ રાખનાર એમ  બંને પ્રકારના લોકો આવું જ કંઈક વિચારતા હતા, પરંતુ સાર્થક ઉદ્દેશ માટે સમર્પિત આ સારથીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કાલજયી બનાવી દીધો. તેમના નિધન પછી સંઘના જીવનમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા. રાષ્ટ્રજીવનમાં અનેક ઉથલપાથલ થઇ. આમ છતાં પણ સંઘકાર્ય પોતાની નિશ્ચિત દિશામાં નિશ્ચિત ગતિ સાથે આગળ વધી રહ્યું છે. સંઘની આ યશોગાથામાં ડો. હેડગેવાર જેવા  સમર્પિત યુગદ્રષ્ટા, સફળ સંગઠક અને સાર્થક જીવનની યશોગાથા છે.

ડૉક્ટર હેડગેવારજી  એવા  દ્રષ્ટા હતા જે પથ પર ચાલતા ચાલતા સ્વયં પથ બની ગયા..તેમના જીવનની દરેક વાત,  દરેક ઘટના અનેક પેઢીઓને પ્રેરિત કરનારી  છે. ડૉક્ટર હેડગેવારજીના જન્મદિને  તેમના ચરણોમાં શત શત નમન...