Tuesday, 4 October 2022

સંઘ અને સમાજજાગરણ


 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય 1925માં વિજયાદશમીના દિવસે નાગપુરથી આરંભાયું. વર્તમાનમાં દેશની સ્વતંત્રતાને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સંઘકાર્યના આરંભને પણ 97 વર્ષ પૂર્ણ થશે અને આવનારા 2025માં સંઘ કાર્યની શતાબ્દી પૂર્ણ થશે. સંઘકાર્ય અનેક  કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ, ત્યાગ અને સમર્પણના આધારે તથા સમાજના સમર્થનના કારણે સતત વધતું રહ્યું છે. અનેક પ્રકારના વિરોધો અને સંકટોને પાર કરીને સંઘનો વ્યાપ અને પ્રભાવ દિનપ્રતિદિન વધતો રહ્યો છે. આજે સર્વત્ર સંઘની ચર્ચા થતી આપણે જોઈ શકીએ છીએ.

 

પોતાના સ્થાપનાકાળથી લઈને આજ દિન સુધી નિરંતર અને અણથક પ્રયત્નોના પરિણામ સ્વરૂપે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સમાજ જાગરણનું એક મૌન પરંતુ સશક્ત આંદોલન બની ચૂક્યું છે. સંઘના સ્વયંસેવકો આજે ભારતના ખૂણે ખૂણે દેશપ્રેમ, સમાજસેવા, રાષ્ટ્રજાગરણ અને રાષ્ટ્રીય ચેતનાની અલખ જગાવી રહ્યા છે. હિન્દુત્વને પોતાના કાર્યનો આધાર બનાવીને સમસ્ત ભારતીય સમાજને એક રાષ્ટ્રીય દિશા પ્રદાન કરી રહ્યા છે.

 

સંઘની સ્થાપના પૂર્વે પણ આપણા દેશમાં સમાજ  જાગરણના અનેક પ્રયાસો થયા હતા. અનેક મહાપુરુષો, અનેક વિચારકોએ સમાજ જાગરણ માટે પોતાના કાલખંડ દરમિયાન વિવિધ પ્રયાસો કર્યા. આચાર્ય ચાણક્ય, છત્રપતિ શિવાજી, ગુરુ ગોવિંદસિંહ, સ્વામી વિવેકાનંદ, રાજા રામમોહનરાય, શંકરાચાર્યજી વગેરે..  અનેક નામો  ગણી  શકાય.   સંઘે રાષ્ટ્ર જાગરણ માટેની    ગૌરવશાળી પરંપરાને  આગળ વધારી  છે.

 

સંઘ દ્વારા ચાલી રહેલા સમાજ જાગરણના રાષ્ટ્રવ્યાપી સ્વરૂપને સમજવા માટે તેના ચતુષ્કોણીય કાર્ય સ્વરૂપને સમજવું જરૂરી છે. સંઘ કાર્યનું પ્રથમ સ્વરૂપ છે પ્રત્યક્ષ શાખાનું કાર્ય. શાખા એક એવું શક્તિપુંજ છે જ્યાંથી રાષ્ટ્રપ્રેમના તરંગો ઊઠીને સમાજના પ્રત્યેક ક્ષેત્રને જગમગાવે છે. સંઘની શાખાના વિભિન્ન કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય એકતા, સામાજિક સદભાવ અને રાષ્ટ્રની આધ્યાત્મિક પરંપરાઓના દર્શન થાય છે. મહાપુરુષોના જીવન ચરિત્રોના સ્મરણ કરતાં કરતાં સંઘના સ્વયંસેવક ભારતમાતાની વંદના  કરે છે.

 

સંઘકાર્યનું બીજું સ્વરૂપ છે - સંઘવિચારથી પ્રેરિત સ્વયંસેવકો દ્વારા  વિવિધ સામાજિક ક્ષેત્રોમાં ચાલતા  સંગઠનો. આ તમામ સંગઠનોના માધ્યમથી પોતપોતાના ક્ષેત્રની આવશ્યકતાઓ અનુસાર અને પરિસ્થિતિ અનુસાર રાષ્ટ્ર જાગરણના કાર્યમાં સ્વયંસેવકો સક્રિય છે

સંઘ કાર્યનું ત્રીજું સ્વરૂપ છે - સ્વયંસેવકો દ્વારા પર ચાલી રહેલા વિવિધ સેવાકીય પ્રકલ્પો.. આ આયામમાં વિદ્યાલયો, સમાચારપત્રિકા, રુગ્ણાલયો, મંદિરની વ્યવસ્થા વગેરે જેવા સાંસ્કૃતિક અને સેવાકીય પ્રકલ્પો ગણી શકાય. સ્વયંસેવકો દ્વારા ચાલી રહેલા આ તમામ  સેવાકીય કાર્યો પાછળ રાષ્ટ્રીય એકતા અને હિંદુત્વની પ્રેરણા છે.

 

સંઘકાર્યનું ચોથું સ્વરૂપ એટલે રાષ્ટ્ર જાગરણનું વિશાળ અને મહત્વપૂર્ણ કાર્ય. આમાં એ તમામ સેવાકીય પ્રવૃત્તિઓ, પ્રકલ્પો, સંમેલનો, અભિયાનો, આધ્યાત્મિક, ધાર્મિક સંગઠનોનો સમાવેશ થાય છે કે જે સંઘની જેમ જ  હિંદુ સંગઠન અને આ રાષ્ટ્રને વૈભવસંપન્ન બનાવવા માટે સક્રિય છે. સ્વયંસેવકો આ તમામ સંગઠનોની સાથે  સહયોગી  બનીને  પોતાના અને સંગઠનના નામથી ઉપર ઊઠીને એક દેશભક્ત નાગરિક તરીકેની ભૂમિકામાં રહીને  વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે.

 

સંઘ સંસ્થાપક ડોક્ટર હેડગેવારની કલ્પના હતી કે સંઘકાર્યને શાખા સુધી સીમિત ન રાખતાં તેને સમાજ સુધી વ્યાપ્ત કરવાનું છે. પોતાના પરિવાર માટે આવશ્યક આર્થિક ઉપાર્જન અને પરિવારનું ધ્યાન રાખીને સમાજ પરિવર્તન અને સમાજ જાગરણના કોઈપણ કાર્યમાં પોતાના સમયનું આયોજન કરીને સક્રિય રહેવું એ જ સંઘકાર્ય છે. સ્વયંસેવક પોતાની રુચિ અને ક્ષમતા અનુસાર કોઈપણ ક્ષેત્ર પસંદ કરીને સમાજ જાગરણ અને પરિવર્તન માટે સક્રિય બને છે.

 

સંઘના સ્વયંસેવકોએ પોતાની 97 વર્ષની સતત તપસ્યાના આધાર ઉપર ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અર્થાત હિન્દુઓના જાગરણનો એક સશક્ત આધાર તૈયાર કર્યો છે. સંપૂર્ણ ભારતીય સમાજને એક નવી દિશા પ્રદાન કરી છે. સામાન્ય વ્યક્તિ પણ સ્વયં પ્રેરણાથી સમાજ પરિવર્તન માટે કંઈક કરી શકે છે એવો આત્મવિશ્વાસ સમાજમાં ઉભો થઈ શક્યો છે. રાષ્ટ્ર સામેના પડકારોના સમાધાન માટે અનેક પ્રકારના વ્યક્તિઓ સક્રિય થઈ શકે છે તેઓ ભાવ સમાજમાં નિર્માણ થયો છે. આજે ભારતવાસીઓમાં એક વિશ્વાસ ઉભો થઈ શક્યો છે કે રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ, રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રના વિકાસકાર્યમાં સક્રિય એવા સંઘના સ્વયંસેવકોના  પ્રયત્નોના આધારે ભારત  ફરીથી વિશ્વ ગુરુ તરીકે પોતાની ભૂમિકા નિભાવશે.