Tuesday, 16 July 2019

ગુરુ ની મહત્તા..

આજના પવિત્ર ગુરુપૂર્ણિમાના દિવસે આપણે  સૌ ગુરુનું પૂજન અર્ચન કરીને તેમના પ્રત્યે ભાવ પ્રગટ કરીએ છીએ.. દરેકના જીવનમાં ગુરુનું સ્થાન આદર અને સન્માન ભર્યું હોય છે.આપણા દેશમાં આ ઉત્સવ ખુબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે.

આપણા મહાપુરુષોએ 'આચાર્ય દેવો ભવ' કહી તેની મહત્તા ગાઈ છે..'ગુરુ સાક્ષાત પરબ્રહ્મ' કહી તેનું વર્ણન કર્યું છે..આવા ગુરુની મહત્તા તેની અંદર રહેલા ગુરુત્વ નાં  કારણે છે...ભારતની કલ્પના માત્ર પેટિયું રળવા માટે   મજુરી કરતા અને જ્ઞાનને વેચીને જીવતા છોકરા ભણાવવાનો વ્યવસાય કરતા કર્મચારીની નથી પણ સમાજને ઘડનારી  પેઢી તૈયાર કરનાર  સમર્થ આચાર્ય પરમ્પરાની છે.

ભારતમાં જે ગુરુ છે તેવી કલ્પના અન્યત્ર ક્યાય પણ નથી..ગુરુ શબ્દ શિક્ષક,  લેકચરર, પ્રોફેસર, રીડર શબ્દ નો સમાનર્થી નથી જ...આ ગુરુ કોણ  છે?  શિક્ષણની સાથે સાથે બાળકની ઊંડાઈ વધારનારો ગુરુ છે..પ્રોફેસર વિદ્યાર્થીને જીવનમાં સફળ બનાવે છે, ગુરુ વિદ્યાર્થીના જીવનને  તેજસ્વી બનાવે છે.તેના જીવનને  અર્થપૂર્ણ બનાવે છે.ગુરુ બાળકની અંદર ઈશ્વરીય તત્વનો અનુભવ કરે છે. ગુરુ  નાનો પણ હોઈ શકે, મોટો પણ હોઈ શકે.,જેણે બાળકની દિશા બદલી દીધી હોય , બાળકના જીવનને  ધન્યતા આપી હોય, દિવ્યતા આપી હોય તે ગુરુ છે...

સાંપ્રત સમયમાં ભારત પાસે એક મોટું વૈશ્વિક દાયિત્વ છે , ભારત વિશ્વને એક નવી દિશા આપી શકે તેમ  છે. આ મોટી જવાબદારી ભારતના ગુરુજનો  પર છે....ભારતના શિક્ષકો પોતાની હજારો વર્ષોની આ ગુરુ પરંપરાને ધ્યાનમાં  રાખે..ગુરુ ની જવાબદારી આવનારી પેઢીઓને આખી દુનિયાને નવો રસ્તો ચિંધવાની છે... વિશ્વના સંદર્ભમાં  આ એક દિવ્ય જવાબદારી છે...

Wednesday, 3 July 2019

નિર્વાણ દિને સ્વામીજી નું ચિંતન......

આજે ૪ જુલાઈ, આજના દિવસે ૧૯૦૨ માં સ્વામી વિવેકાનંદે મહાસમાધિ લીધી હતી.

સ્વામી વિવેકાનંદ ની વાણી આપણને ઝંકૃત કરે છે, ઉત્સાહ વધારે છે , એટલું જ નહિ , ભાવુક પણ કરે છે....સ્વામીજીએ ભારતવાસીઓને કહ્યું હતું,  ,''જ્યાં સુધી જીવો ત્યાં સુધી કાર્યરત રહો, હું તમારી સાથે છું.જ્યારે હું નહિ હોઉં ત્યારે પણ મારી આત્મા તમારી સાથે રહીને કામ કરતી રહેશે...ધન, યશ, કીર્તિ, સુખભોગ તો ક્ષણિક માત્ર છે.. સંસાર ના જીવજંતુ ની જેમ મારવા કરતાં પોતાના કર્તવ્યનું પાલન કરતાં કરતાં સત્યનો પ્રચાર કરતાં કરતા મૃત્યુને ભેટવું  અધિક શ્રેષ્ઠ છે., અનેક ગણું શ્રેષ્ઠ  છે. આગળ વધો.."

સ્વામી વિવેકાનંદે ૩૯ વર્ષની આયુમાં એટલું બધું ચિંતન આપણને આપ્યું છે કે આગામી અનેક વર્ષો સુધી કોઈ વ્યક્તિ ન આપી શકે. તેમણે ભારતને બૌદ્ધિક અને આધ્યાત્મિક  ક્ષેત્રે વિશ્વમાં સર્વોચ્ચ શિખરે પ્રસ્થાપિત કરી દીધું હતું. આજના દિવસે તેમની પુણ્યતિથિએ તેમને શત શત વંદન.....