Saturday, 25 December 2021

સંકલ્પ દિવસ

 

આજે ૨૫મી ડિસેમ્બર,...આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસ સાથે અંકિત થયેલ અજોડ ઘટનાનો સ્મૃતિ દિવસ...રામકૃષ્ણ પરમહંસના શિષ્ય એવા  યુવા સન્યાસી સ્વામી વિવેકાનંદ ભારત ભ્રમણ કરતાં-કરતાં કન્યાકુમારી પહોંચે છે. ભારતયાત્રા દરમિયાન તેમણે નિરખેલ સમાજની દુર્દશા તેમના સંવેદનશીલ ચિત્તને ઘેરી વળેલી હોય છે. અચાનક તેમનું ધ્યાન સમુદ્રમાં ઉભેલા એક ખડક પર પડે છે, તેમના મનમાં એક ઝબકારો થાય છે. આ શીલા પર બેસી ધ્યાન કરવાની ઈચ્છાએ સમુદ્રમાં છલાંગ લગાવી તરતાં તરતાં  એ દ્વીપ સમાન શીલા પર પહોંચે છે,... આ દિવસ હતો ૨૫મી ડિસેમ્બર, ૧૮૯૨... શીલા પર પહોંચી ધ્યાનમાં બેસે છે. તેમના જ્ઞાનચક્ષુ આગળ હોય છે ભારતમાતા.. ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં હિંદ મહાસાગર અને પૂર્વમાં બંગાળના ઉપસાગરથી પશ્ચિમમાં અરબસાગર સુધી ફેલાયેલી ભારતમાતા તેમની સામે હોય છે... પરિવ્રાજકના રૂપમાં ભ્રમણ દરમિયાન નિહાળેલો ભારતનો સમાજ, દુઃખ, ગરીબાઈ, ભૂખમરો, અજ્ઞાન, અંધશ્રદ્ધામાં અટવાયેલો હતાશ સમાજ...

25, 26, 27 ડિસેમ્બર એમ ત્રણ દિવસ-રાત આંખમાં અવિરત આંસુ સાથે એક જ પ્રશ્ન મનમાં ઘૂમરાઈ રહ્યો છે કે ઘણા બધા ધર્મોનું જન્મ સ્થાન અને મિલન ક્ષેત્ર પુણ્યતીર્થ ભારતવર્ષ, ભારતનો ગૌરવભર્યો આધ્યાત્મયુક્ત ઉજ્જવળ ભૂતકાળ છતાં દુઃખ અને  દારિદ્રયમાં ડૂબેલ ગૌરવ ગુમાવી બેઠેલો અને અધ્યાત્મ સંપત્તિથી વિમુખ થયેલો સમાજ અને ગાઢ અંધકારથી ઘેરાયેલું અનિશ્ચિત ભવિષ્ય... !!! ભારતના લુપ્ત થયેલા ગૌરવને ફરીવાર સુપ્રતિષ્ઠિત કરવાનું સંભવ છે?.. તેનો ઉપાય શું? ...ઉચ્ચ શિખરે બિરાજેલુ ભારત કેમ કરતાં અવનતિના પંથે ગયું?.... આવા અનેક પ્રશ્નો તેમની સામે હતા....ભારતનું નજરોનજર નિહાળેલું વાસ્તવિક સ્વરૂપ અને ભવિષ્યનો પથ શોધતા  યુવા સંન્યાસીના મન:સાગરમાં ઉઠી રહેલ આ ઘુઘવાટ ચોતરફ ફેલાયેલા વિશાળ હિન્દ મહાસાગરના ઘુઘવાટ કરતાંય  પ્રચંડ અને પ્રગાઢ હતો.

 

સતત ત્રણ દિવસ એ નિર્જન શીલા પર બેઠેલા યુવા સંન્યાસીને પલટી નાખ્યો. એક આમૂલ સંસ્કારક અને શક્તિમાન આત્માનુભવ સંપન્ન દેશનાયકના રૂપમાં તેઓ પરિવર્તિત થયા. તેમની આંખો સમક્ષ ભારતના ઈતિહાસના અનેક પૃષ્ઠો  જાણે એકી સાથે ખુલી ગયા અને તેમના અંતરચક્ષુ સમક્ષ ભારતીય ધર્મ અને સંસ્કૃતિની ભવ્ય સંભાવનાઓનું એક પૂર્ણ અને ઉજ્જવળ ભવિષ્યનું ચિત્ર ઉપસી આવ્યું.  ભાવિ ભારતને ધર્મ અને સંસ્કૃતિથી પરિપૂર્ણ અને અનેક વિવિધતાઓમાં એકતા સાથે બિરાજમાન અખંડ સત્તારૂપ જોયું. .બસ આ જ જીવનકાર્ય  એ સંકલ્પ મનમાં થયો... ભારતનું સર્વાંગીણ કલ્યાણ એ જ જીવનવ્રત... ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા ત્યારે તેમના મુખ પર શાંતિ અને સંતોષની આભા છે.. નિર્ભય આંખો, બીડાયેલા હોઠ અને અદબ વાળેલી  ભૂજાઓ તેમના ચિત્તમાં આકાર લઈ રહેલા કોઈ દિવ્ય સંકલ્પની સાક્ષી પૂરે છે..

આ ઘટના ભારત અને વિશ્વના ઈતિહાસ માટે ટર્નિંગ પોઇન્ટ સમાન હતી. ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા બાદ સ્વામીજીએ યુરોપ, અમેરિકા અને સમગ્ર વિશ્વનો પ્રવાસ કરી સમગ્ર વિશ્વને ભારત અને તેની ભવ્યતાનો પરિચય કરાવ્યો હતો. સ્વામીજીએ ભારતવર્ષ અને તેના વેદાંત હિંદુત્વના વિશ્વને કરાવેલ પરિચયથી સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું હતું

સંકલ્પ થી મહાન કાર્યોની પૂર્તિ માટેની ઉર્જા પ્રાપ્ત થાય છે... જેવી રીતે સ્વામીજીએ કરેલો દઢ સંકલ્પ ભારતના નવોત્થાન માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો તેવી  રીતે સમાજ પ્રત્યેની સંવેદનામાંથી ઉદ્ભવેલો નાનો સંકલ્પ પણ આપણા વ્યક્તિગત જીવનને નવી ઊંચાઈ આપશે તથા રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે નવી દિશા આપશે અને તેના થકી જ સ્વામીજીના સ્વપ્નના ભારત નિર્માણનો માર્ગ સુનિશ્ચિત થશે....


Monday, 31 May 2021

પુસ્તક પરિચય: જે એન યુ માં આકાંક્ષા

 

મૂળ હિન્દી નવલકથા ‘JNU મેં એક લડકી રહતી થી’

ગુજરાતી અનુવાદ થયેલ કથા ‘JNU માં આકાંક્ષા’

લેખક- ડો,અંશુ જોશી,

અનુવાદ:- છાયા ત્રિવેદી.

શીર્ષક પોતે જ નવલકથાની કથાવસ્તુ વ્યક્ત કરી દે છે. નવલકથાનું પુખ્ય પાત્ર આકાંક્ષા છે. નાના શહેરમાંથી ઉચા સપના જોઇને JNU માં ભણવા માટે આવતી એક છોકરીની વાર્તા છે જે અહી આવ્યા પછી અહીના વાતાવરણમાં રહીને કેવી બદલાઈ જાય છે, આકાંક્ષા ઉજજૈનનાં એક  શિક્ષિત પરિવારમાંથી આવે છે, તે પરિવારની લાડલી છે,  નાના શહેરમાંથી ઉચ્ચ અભ્યાસનાં ઊંચા સપના લઈને  JNUમાં પ્રવેશ લે છે, jnuમા જ્યારે એડમીશન લેવા આવે છે ત્યારે એનો પરિચય કેટલાક સીનીયરો સાથે થાય છે, આ સીનીયર તેને પોતાની હોસ્ટેલમાં રાખે છે. શરૂઆતમાં મદદ કરવાના બહાના હેઠળ સાથે રાખી આગળ જતા તેમના ષડયંત્રમાં ફસાવી, રાજનીતિમાં ફસાવે છે. તેને પોતાના જીવન મુલ્યો, સંસ્કાર માટે ઉપહાસ, મજાકનો સામનો કરવો પડે છે. ધીરે ધીરે પોતાના મૂલ્યો, સંસ્કારોથી ક્યારે વિમુખ થાય છે તેનો ખ્યાલ જ રહેતો નથી. તે જુએ છે અહી તો બધા જ લોકો  સિગારેટ, શરાબ પીએ છે. અહિ બોલાવવામાં  આવતા નારા, સૂત્રોચ્ચાર  અને સરઘસ નો એક હિસ્સો બની જાય છે,  આમાં જ  એને  ક્રાંતિનો અનુભવ થવા લાગે છે. પ્રેમના બહાના હેઠળ તેનો કેવો ઉપયોગ થઇ રહ્યો છે તે પણ અનુભવે  છે. સીનીયરોની સાથે સાથે કેટલાક પ્રોફેસરો પણ આમાં સામેલ હોય છેઅંતે તે એક વિચારશૂન્યમાં  ખોવાઈ જાય છે, પછીથી એને ભાન થાય છે ત્યારે પોતાની જાતને સાંભળી લે છે. ફરીથી ઊભી થઈને પોતાની કારકિર્દી બનાવે છે, તેમાં તેના પરિવારના સભ્યો અને સંસ્કારો મદદમાં આવે છે.  દરમિયાન અનેક પડાવો આવે છે. દરેક પડાવ  એક નવો મુદ્દો છે. આ વિવિધ મુદ્દાઓને નવલકથાના માધ્યમથી ઉજાગર કરવામાં આવ્યા છે.

૧૯૯૯ પહેલા નાં JNUને દર્શાવવામાં આવે છે. તે સમયે સોશિયલ મીડીયાના માધ્યમો આટલા વ્યાપક નહોતા. તે સમયમાં પણ  ભારતને ખંડિત કરવા માટે કેવા  પ્રયાસો ચાલી રહ્યા  હતા  તે દર્શાવવામાં આવ્યુ છે.

અહિ ડાબેરી વિચારધારાના ડબલ ચારિત્ર્યને દર્શાવવામાં આવ્યું છે. નવા વિદ્યાર્થીઓને તથાકથિત બુદ્ધિજીવીઓ  બદલવાના પ્રયાસો કરે છે. વિદ્યાર્થીઓની વચ્ચે એક નકારાત્મ્ક  narrative ચલાવવામાં આવે છે.નકસલવાદ અને આતંકવાદીઓ માટે માનવાધિકારોની વાતો કરવામાં આવે છે. એવું સમજાવવામાં આવે છે કે ભારતનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, ભારત એક વિવિધ રાષ્ટ્રનું બનેલું છે. પહેલા આપણે બ્રિટિશરોના ગુલામ હતા, અત્યારે  હવે  સરકારના ગુલામ છીએ. ભારતની સંકલ્પના અને આઝાદી જૂઠી છે. ભારતની  વિવિધતાને અલગતામાં ખપાવવામાં આવે છે.

નારીવાદની જુઠી સંકલ્પના કરવામાં આવી છે. સ્ત્રીઓને એવું સમજાવવાનો પ્રયાસ થાય છે કે તેમની દુર્ગતિનું કારણ પુરુષ જ છે, એનો બદલો લેવા તેના હાથમાં સીગારેટ, શરાબની બોટલ પકડાવી દેવામાં આવે છે અને આ દ્વારા છદ્મ સ્વતંત્રતાનો અનુભવ કરાવે છે આના  દ્વારા આગળ જતા પોતાના પરિવાર, સંસ્કૃતિ, સમાજ અને પોતાની જાતથી પણ અલગ થઈને એક વિકૃત જીવનશૈલીની ગુલામ થઇ જાય છે.

    સ્ત્રીઓ માટે આંદોલનો અને સંઘર્ષ પર ભાષણો કરવામાં આવે છે પરંતુ સાંસ્કૃતિક વિચાર પર આધારિત કોઈ વાત કરવામાં આવતી નથી કે જેમાં બતાવવામાં આવે  કે નારી એ તો શક્તિનો પર્યાય છે, શક્તિનું હમેશા પૂજન થાય છે. સ્ત્રીઓ સાથે પ્રેમના નામે ફ્રી સેક્સ, શોષણ  અને વ્યભિચાર  કરવામાં આવે છે.

    અહી જુઠી ધર્મ નિરપેક્ષતાની વાતો કરવામાં આવે છે. હિંદુ ધર્મ વિષે અનેક મનઘડંત સિદ્ધાંતો બતાવવામાં આવે છે. કેવી રીતે દલિતોને મુખ્ય ધારાથી અલગ કરવામાં આવે છે, કેવી રીતે એમનું બ્રેઈન વોશ કરવામાં આવે છે, કેવી રીતે આતંકવાદીઓને માનવાધિકારોની મુદ્દો બનાવવામાં આવે છે અને આની સામે અવાજ ઉઠાવનારને કેવી રીતે  પ્રતાડિત કરવામાં આવે છે...એ બધું વિવિધ સંવાદો દ્વારા બતાવવામાં આવ્યું છે.

દલિતોના મનમાં એવું ઠસાવવામાં આવે છે કે તેમનું ભારતીય સંસ્કૃતિમાં કોઈ મહત્વ નથી તેમનું માત્ર શોષણ જ થાય છે અને એ રીતે તેમને મુખ્ય ધારાથી અલગ કરવામાં આવે છે. દલિતોનો માત્ર ઉપયોગ કરી છેવટે તેમને ફેકી દેવાના –છોકરીઓ સાથે  પ્રેમ કરવાનો અને લગ્નની વાત આવે ત્યારે અમે આમાં વિશ્વાસ નથી કરતા, અમે લગ્નસંસ્થામાં વિશ્વાસ નથી એવું બતાવવાનું.....આવું તો ઘણું બધું....

હિંદુ ધર્મ માટે તેમને ભારોભાર કડવાશ ભરવામાં આવે છે. ઘરે દિવાળી, રક્ષાબંધન  ખુશીથી મનાવવાવાળા લોકોને અહી આવ્યા પછી એવું લાગવા માંડે છે કે રામાયણ, મહાભારત  દલિત વિરોધી છે. દુર્ગા પૂજામાં માનારા, મા દુર્ગાની  આરતી ઉતારનારા લોકોને અહી એવું લાગવા માંડે છે કે દુર્ગા એ વેશ્યા હતી.

ડાબેરી વિચારધારાના લાલ ચશ્માથી તેમને દલિત, શોષિત બતાવવાનો પ્રયાસ થાય છે અને એ  દ્વારા તેમના  જુના ઘાને ઉખેડવાનો પ્રયાસ થાય છે. ત્યાર બાદ દલિત ક્રાંતિ, દલિત સંઘર્ષ જેવા શબ્દો જાણે તેમના માટે ફેશન બની જાય છે.

સાથે સાથે એ પણ બતાવવામાં આવ્યું છે કે અહી માત્ર  લાલ સલામના નારા લગાવનારા જ નથી, તો વંદે માતરમ બોલનારા  પણ છે. અનેક રાષ્ટ્રભક્ત લોકો પણ અહીંથી તૈયાર થઈને બહાર આવ્યા છે જે રાષ્ટ્ર્જીવન માં સક્રિય છે.

એકદમ સરળ, સહજ કથાશૈલી અને કથાનો વિસ્તાર એક ધ્યાન ખેચે તેમ છે..


Wednesday, 19 May 2021

કોઈ પદ ચિહ્નો પર ચલતા હૈ...કોઈ પદચિહ્ન બનાતા હૈ..

 કોઈ પદ ચિહ્નો પર ચલતા હૈ...કોઈ પદચિહ્ન બનાતા હૈ..


આદરણીય શ્રી કીર્તિભાઈ પંચોલી સાહેબે   સદેહે આપણી વચ્ચેથી આજે  વિદાય લીધી. તેમની વિદાય આઘાતજનક છે, આજે અનેક કાર્યકર્તાઓને  પોતાનો એક અંગત સ્વજન ગુમાવ્યાની  અનુભૂતિ થાય છે.. સહજ આત્મીયતાપૂર્ણ  સંપર્ક, સંવાદ એ તેમની વિશેષતા હતી. કાર્યકર્તા પોતાના મનની વાત બોલે એ પહેલા જ સાહેબ સમજી જતા..તેમની સાથેનો સહવાસ આપણને હમેશા  પિતાતુલ્ય વાત્સલ્યની અનુભૂતિ કરાવતો. સમાજજીવનનાં અનેક કાર્યકર્તાઓના જીવન ઘડતરમાં એમનો  ભૂમિકા મહત્વની છે...


પાટણ એમની જૂની કર્મભૂમિ હોવાના કારણે અવારનવાર આવતા. ત્યારે કાર્યની, કાર્યકર્તાની અને સંગઠનની  ચિંતા વ્યક્ત કરતા રહે., તેમની સાથેની પ્રત્યેક મુલાકાત કોઈ ને કોઈ નવો વિચાર, માર્ગદર્શન આપનાર બની રહેતી...તેમના સમકાલીન સ્વયંસેવકને તો મળતા, સાથે સાથે નવી પેઢીના મુ.શિ./ કાર્યવાહને પણ મળતા. તેમની સાથે પણ એ જ સહજ આત્મીયતા રહેતી. તેમના સમકાલીન કાર્યકર્તા આજે હયાત ન  હોય તો પણ એમના પરિવાર સાથે એક સ્વજન જેવી આત્મીયતા પ્રત્યક્ષ અનુભવેલી.. 


છેલ્લા  વર્ષોમાં  સંઘ  કે વિદ્યાર્થી પરિષદમાં એમની કોઇ પ્રત્યક્ષ જવાબદારી નહોતી છતાં સ્વયં પ્રેરણાથી  વ્યાપક વ્યક્તિગત સંપર્ક, પ્રવાસ કરતા..સમાજ જીવનના અનેક આદર્શો આપણી સામે મુકીને ગયા છે...


એકવાર સહજ મેં વાત કરેલી કે સાહેબ હવે આ ઉમરે આટલા પ્રવાસ ના કરો તો ચાલે, હવે તબિયત પણ સાચવો. તો એમની લાક્ષણિક શૈલીમાં કહે, મને તો સંપર્ક અને પ્રવાસ થી જ તબિયત સારી રહે. તેમની સાથેના આવા અનેક સંસ્મરણોને યાદ કરીએ તો યાદી ઘણી લાંબી થાય..  


જીવન ની અંતિમ ક્ષણ સુધી સમાજ જીવન માં સક્રિય રહેલા પંચોલી  સાહેબ  આપણા સૌના હૃદયમાં હમેશા રહેશે. તેમણે દર્શાવેલો પથ આપણને સૌને સતત પ્રેરણા આપતો રહેશે.


અંત:કરણપૂર્વક વિનમ્ર શ્રદ્ધાંજલિ....ૐ શાંતિ