Monday, 23 September 2024

સર્વહિતકારક નાગરિક અનુશાસન એ સમયની માગ છે.

 


ભારત અત્યારે સ્વાધીનતાનું અમૃત પર્વ મનાવી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે.  વિશ્વભરમાં ભારત અગ્રેસર પ્રગતિશીલ દેશ તરીકે ગણના પામી રહ્યું છે. આર્થિક, ઇન્ટ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ટેકનોલોજી એમ વિવિધ ક્ષેત્રોમાં ભારત સ્વાવલંબી બની રહ્યું છે. વિકાસના આવા વિવિધ આયામોની વચ્ચે  આપણે સૌએ ચિંતન કરવાનો અને અનુસરવાનો સમય આવી ગયો છે કે એક નાગરિક તરીકેની આપણી ફરજો અંગે આપણી સમજ, સભાનતા  કેટલી વિકસિત કરી શક્યા છીએ.? વિકાસના વિવિધ માપદંડોની સાથે નાગરિક તરીકેની ફરજ (સિવિક સેન્સ)ની સમજ પણ વિકાસનો એક માપદંડ ગણાવો  જોઈએ.

 

ટ્રાફિક સેન્સ, સ્વચ્છતા, રાષ્ટ્રીય સંપતિની જાળવણી વગેરે વિષયોમાં આપણે એક નાગરિક તરીકે પોતાની સમજણ વિકસિત કરવાની જરૂરિયાત લાગે છે. નાગરિક અનુશાસનના પાઠ ભારતના બધા નાગરિકોએ શીખવાની અને વ્યવહારમાં લાવવાની આવશ્યકતા જણાઈ રહી છે. ભારતમાં સડક નિર્માણના આંકડાઓ ગૌરવ અપાવે છે, પરંતુ તેની સામે સડક દુર્ઘટનાના આંકડા આપણને હતપ્રભ કરી દે તેવા છે. ટ્રાફિક સેન્સની સમજણના અભાવે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતો ઘર પરિવારોને તબાહ કરી નાખે છે. ઉત્તરોત્તર વધી રહેલા અકસ્માતો અંગે ચિંતા અને ચિંતન બંને જરૂર છે.  અકસ્માત થાય ત્યારે થોડા દિવસ મીડિયામાં ચર્ચા બળાપો થાય છે  પરંતુ થોડા દિવસ પછી બધું એમનું એમ થઇ જાય છે..

 

સ્વચ્છતાની બાબતમાં પણ કંઈક આવું જ અનુભવાય છે જાહેર સ્થળોએ ગમે ત્યાં થૂંકવું. ચાલુ કારે દરવાજો ખોલીને માવો થુંકવો, જાહેર સ્થળો પર ગંદકી કરવી આ બધું સામાન્ય હોય એવું અનુભવાય છે ક્યાંક ક્યાંક સરકારી કચેરીમાં કે જાહેર સ્થળોએ કોઈ પાનની પિચકારીઓ ના મારે તે માટે ત્યાં ભગવાનના ફોટા મૂકે છે તો તેને પણ કોઈ બાકી રાખતા  નથી.

 

ભારતની કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને પાછા આવે ત્યારે ત્યાંના નાગરિકજીવનના ભરપેટ વખાણ કરતા હોય. જે વ્યક્તિઓ વિદેશમાં જઈને નાગરિક જીવનના નિયમો, સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ વગેરેના વખાણ કરતા થાકતા નથી એ જ વ્યક્તિ ભારતમાં પાછા ફરે છે ત્યારે વિદેશમાં પોતે કરેલા વ્યવહારથી તદ્દન વિરુદ્ધ વ્યવહાર કરતા નજરે પડે છે.

 

વાસ્તવમાં આપણા સૌની સામૂહિક પ્રગતિ માટે નાગરિક અનુશાસન (સિવિક સેન્સ) ખૂબ જરૂરી છે. નાગરિક અનુશાસન એ માત્ર ભાષણનો મુદ્દો નથી, પરંતુ આપણે સૌએ એને વ્યવહારમાં લાવવા માટે અગ્રેસર થવું પડશે. સિવિક સેન્સની સમજણ ઓછી હોવાના કારણે એક આખી પેઢીનો બેફામ રીતે ઉછેર થઈ રહ્યો છે. આ અંગે સભાનતા લાવવાની અત્યંત આવશ્યકતા છે. નાગરિક અનુશાસનના સંસ્કાર ઘર-પરિવાર, શાળાથી શરૂ થવા જોઈએ.. આજે શાળાઓ અને પરિવારોમાં પણ આવા અનુશાસનનો આગ્રહ ઘટતો જોઈ શકાય છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા કે ફરવા જવા માટે ઉંમરની લાયકાત ન હોવા છતાં વાલીઓ તેમને મુક્તપણે વાહન આપતા પણ અચકાતા નથી. જે માતા પિતા પોતાના ટીનેજ બાળકોને વાહનો આપી દે છે તેમણે પોતે અંદર ઝાંખીને નિર્ણય કરવો જોઈએ કે શું આ યોગ્ય છે?  શાળાઓ પણ આવા વિદ્યાર્થીઓને શાળામાં વાહનો લાવવાની છૂટ આપે છે. આ વિદ્યાર્થીઓ રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવતા હોય છે જે ક્યારેક ક્યારેક અકસ્માતમાં પોતાને તથા અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આમાંથી બહાર લાવવા માટે પરિવાર અને શાળાઓએ સંસ્કાર માટેનું એક સક્ષમ માધ્યમ બનવું જોઈએ.

 

આપણે ભારતીય નાગરિકોની સ્કિલ, સંપન્નતા ખૂબ વધારે છે. સરકાર જ બધી સમસ્યાઓનો સંપૂર્ણ હલ કરશે  એ માનસિકતામાંથી બહાર આવી જવાબદાર નાગરિક તરીકે  અનુશાસનનો ગુણ જાગૃત થાય તે બાબતે આપણે સૌ સંવેદનશીલ બનીએ અને વ્યવહારમાં લાવીએ તો ભારતની યશોગાથા  પુરપાટ ઝડપે દોડશે. સર્વહિતકારક નાગરિક અનુશાસન આપણા સમાજનું અંગ બને તે સમયની માગ છે.

 

 

 


 

 

 

 

 

Wednesday, 11 September 2024

મન કે હારે હાર હે મન કે જીતે જીત.... આ કહેવત જેટલી વ્યક્તિને લાગુ પડે છે તેટલી સમાજ પર પણ લાગુ પડી શકે છે. વિજયની આકાંક્ષા સમાજમનને શક્તિ  પ્રદાન કરે છે. જ્યારે  સમાજ   પોતાની શક્તિઓને ભૂલીને આત્મગ્લાની અનુભવતો   હોય ત્યારે કોઈ અદ્વિતીય વિજયની આકાંક્ષા સમાજની આ માનસિકતામાંથી બહાર લાવી શકે છે. આત્મવિસ્મૃતિની  માનસિકતાના કારણે સમાજ અકર્મણ્ય થઈ જતો હોય છે.

 

19 મી સદીના અંત ભાગમાં ભારતની સ્થિતિ કંઈક આવી જ હતી. સમાજ આવી અકર્મણ્યતા અને આત્મગ્લાની અનુભવતો હતો. ક્યાંયથી કોઈ આશાનું કિરણ નહોતું. સમાજ પરાધીન હતો. આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હોવાના કારણે સ્વાધીનતા માટે પ્રયત્ન કરવામાં પણ ઉદાસીન જણાતો હતો.. આવી પૃષ્ઠભૂમિમાં 11 સપ્ટેમ્બર 1893માં શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં સનાતન હિન્દુ ધર્મના પ્રતિનિધિ યોદ્ધા યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલો દિગ્વિજયી ચમત્કાર ભારતના સમાજ માટે ચમત્કારિક ઘટના હતી. ભારતના માનસને ઝંકૃત કરીને સુપ્ત સમાજને જાગૃત કર્યો. અમે પણ કંઈ કરી શકીએ છીએ, આપણી પોતાની સંસ્કૃતિ, પરંપરા અને  ધર્મમાં વિશ્વ વિજયની ક્ષમતા છે એવી સભાનતા સમાજમાં જાગૃત કરવા માટે પર્યાપ્ત થઈ. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં થયેલ આધ્યાત્મિક વાતો આપણા ભારતના સર્વતોમુખી વિશ્વ વિજયનો શુભારંભ કહી શકીએ..

 

સ્વામી વિવેકાનંદે મૃત:પ્રાય હિન્દુ સમાજની સમક્ષ વિશ્વ વિજયનું ઉદ્દાત્ત લક્ષ્ય આપ્યું...સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું ભારત વિશ્વ વિજય કરશે તે નિશ્ચિત છે પરંતુ આ વિજય રાજનૈતિક, સૈન્યબળ અથવા આર્થિક શક્તિથી નહિ, પરંતુ આધ્યાત્મિક શક્તિ દ્વારા જ થશે. સ્વામીજીની સિંહગર્જના હતી ભારત ઉઠે અને પોતાની આધ્યાત્મિક શક્તિથી સંપૂર્ણ વિશ્વનો વિજય પ્રાપ્ત કરે..

 

આજના  દિગ્વિજય દિન પર આપણે રાષ્ટ્રીય જીવનના વિજયની આકાંક્ષાને પુનઃ જાગૃત કરવ સંકલ્પ લઈએ.....