રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે. સંઘનું નામ આજે સર્વત્ર ચર્ચામાં છે.
સંઘકાર્ય આજે દેશભરમાં પ્રવાહમાન ધારાની
જેમ સતત ગતિમાન છે. રાષ્ટ્રહિતમાં વિચારનારી સજ્જનશક્તિ સંઘનો વધતો વ્યાપ જોઈ પ્રત્યક્ષ
સંઘ સાથે જોડાઈ રહી છે અથવા સામાજિક કાર્યમાં સક્રિય બનવા ઉત્સુક છે. સંઘકાર્યની
અવિરત ધારાને જોતાં તેનું ઉદગમસ્થાન જોવા જાણવાની ઈચ્છા આપોઆપ જાગ્રત થાય તે
સ્વાભાવિક છે. સંઘનો પ્રારંભ કોણે કર્યો? કેવી રીતે થયો? સંઘ સરિતાના પ્રવાહને
ધરતી પર ઉતારનાર એ ભગીરથ કોણ છે? વગેરે...આ લેખ દ્વારા સંઘના આદ્યસ્થાપક ડો.
કેશવરાવ બલિરામ હેડગેવારના જીવનના પ્રસંગો દ્વારા તેમના જીવનનો પરિચય મેળવીએ.
નાગપુરમાં
ચૈત્ર સુદ એકમ એટલે કે વર્ષ પ્રતિપદા (ગુડી પડવા)ના પાવન દિવસે, અંગેજી દિનાંક ૧ એપ્રિલ, ૧૮૮૯ના રોજ જન્મેલા કેશવ
બલિરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા. બાળ કેશવના મનમાં અંગ્રેજો પ્રત્યે ભારોભાર ગુસ્સો
તથા દેશને સ્વતંત્ર જોવાની અદમ્ય ઈચ્છા હતી. આવું તેમના અનેક પ્રસંગો પરથી કહી
શકાય. રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હિરક મહોત્સવ નિમિત્તે શાળાઓમાં વહેંચાયેલી
મીઠાઈને બાળ કેશવે કચરામાં ફેંકી દીધી હતી. વંદે માતરમના ઉદઘોષ પર પ્રતિબંધ
મૂકનારા સર્ક્યુલરની અવગણના કરીને ૧૯૦૭માં વિદ્યાલયમાં નિરીક્ષકના સ્વાગતમાં
પ્રત્યેક વર્ગખંડમાં વંદે માતરમનો ઉદઘોષ
કરવામાં આવ્યો. આ યોજના કેશવની જ હતી. આના માધ્યમથી પોતાની નિર્ભયતા, દેશભક્તિ તથા
સંગઠન કુશળતાનો પરિચય કેશવે કરાવ્યો. ક્રાંતિકારી આંદોલનનું કેન્દ્ર કલકત્તા
હોવાથી ડોક્ટરનો અભ્યાસ કરવા તેઓ કલકત્તા ગયા અને ખૂબ ઝડપથી ક્રાંતિકારી આંદોલનની
સંસ્થા અનુશીલન સમિતિમાં જોડાઈને પોતાનું નામ પ્રસ્થાપિત કરી દીધું. અભ્યાસ પૂર્ણ
થયા બાદ નાગપુર પાછા આવીને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં ડોક્ટરનો વ્યવસાય કે
વિવાહ કરવાનો વિચાર ત્યાગી પૂર્ણ શક્તિથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા.
૧૯૧૫થી
૧૯૨૪ સુધીના સમયગાળા દરમિયાન દેશમાં ચાલનારા વિવિધ આંદોલનો તેમજ વિવિધ સંસ્થાઓમાં
કામ કરતાં કરતાં એમનું ચિંતનશીલ અને પરિપક્વ મન તે સમયની સામાજિક, સાંસ્કૃતિક
પરિસ્થિતિઓ અને વિશ્વની પૃષ્ઠભૂમિમાં ભારતવર્ષના પરાજય વિષે પણ સતત ચિંતન મંથન
કરતુ હતું. ભારતને ગ્રસિત કરનારા રોગનું નિદાન
શોધવામાં તેઓ વ્યસ્ત રહેતા..
સ્વતંત્રતા
આંદોલનમાં લગભગ એક દાયકાની સક્રિય ભૂમિકા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે આપણી
અધોગતિ માટે આપણા સામાજિક દોષો જવાબદાર છે. સ્વાભિમાન શૂન્ય, આત્મવિસ્તૃત અને
અસંગઠિત હિંદુ સમાજને કારણે જ વિદેશીઓ આટલા
બધા વર્ષો સુધી વિશાળ ભારત ઉપર શાસન કરી શક્યા. માત્ર અંગ્રજો કે મુસલમાનોને ગાળો
કાઢવાને બદલે હિન્દુ સમાજે પોતાનામાં રહેલા દોષોને જવાબદાર ગણી પોતાના દોષો દૂર
કરવાના પ્રયત્નોમાં લાગી જવું પડશે. ભારતને
સશક્ત બનાવવા માટે ભારતના ઈતિહાસ, વર્તમાન તથા ભવિષ્યને સાંકળીને એમણે
રાષ્ટ્રીયતાના મૂળ પ્રશ્ન પર ઊંડો વિચાર કર્યો. ભાષણો, અપીલો અથવા અપેક્ષાઓ
માત્રથી રાષ્ટ્ર સબળ બની શકે નહિ. એ માટે
નિરંતર દેશભક્તિ, સામુહિકતા, સામાજિક સંવેદનશીલતા તેમજ એકતાની ભાવનાનો સંચાર થવો
જોઈએ.
ભારત
પાસે ચિંતકો અને સિદ્ધાંતકારો હતા, ચિંતન અને સિદ્ધાંતો હતા, ઈતિહાસ અને પરંપરાઓ
હતી, ભવિષ્યની કલ્પનાઓ પણ હતી, પરંતુ આ બધાને એક સૂત્રમાં પરોવનારું અને એક સ્વર
પ્રદાન કરનારું કોઈ સંગઠન નહોતું. ડો.હેડગેવારે રાષ્ટ્રજીવનની આ ઉણપ સમજી લઈને એને
પૂર્ણ કરવાનું વ્રત લીધું.
પોતાના
અંતરંગ સાથીઓ સાથે તેમના હૃદયમાં રહેલા
વિચારો સ્પષ્ટ કરતાં અને કહેતા કે કોઈક
એવા સંગઠન અને પદ્ધતિને આકાર આપવો જોઈએ જે દેશને માટે પ્રભાવી અને સ્થાયી પરિબળ
બની શકે અને આવતીકાલના સમાજનું તેમાંથી ઘડતર થાય. રાજનીતિથી આ કામ ન થઇ શકે,
રાષ્ટ્રીયતાનો ભાવ જ આની ચાલના આપી શકે.
તેમના
મનમાં એક દ્રઢ વિચાર સ્થાયી હતો કે ‘હું આ દેશનો
ઘટક છું અને મારે દેશ માટે ત્યાગ કરવો એ મારું કર્તવ્ય છે’, એ ભાવનાનું
પુનર્જાગરણ જ સુષુપ્ત સમાજમાં નવો પ્રાણ સંચાર કરશે. પોતાના અંગત સુખ છોડીને દેશ
અને સમાજ માટે પૂર્ણ જીવન સમર્પિત કરનારા સેંકડો યુવાનો જયારે બહાર આવશે ત્યારે
દેશમાં પરિવર્તન આવશે. એ માટે જે સંગઠન કામ કરશે તે સંગઠન સમાજજીવન માટે એક વિધાયક
આંદોલન બની જશે. આ કામની શરૂઆત હું મારાથી જ કરીશ..’
આ
દ્રઢ સંકલ્પનું શુભ પરિણામ એટલે રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ. આ ભગીરથ સંકલ્પની સિદ્ધિ માટે ડો. હેડગેવારે ૧૯૨૫માં વિજયાદશમીના
દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. નાગપુરના મોહિતેવાડાના
મેદાનમાં શરૂ થયેલી શાખા ધીરે ધીરે દેશભરમાં ફેલાઈ ગઈ. ડો. હેડગેવારજીના એક ઇશારે
પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરનાર નવલોહિયા યુવાનોની હારમાળા સર્જાઈ.. ૧૯૪૦માં
ડોક્ટર હેડગેવારજીના અવસાન સુધી ૧૫
વર્ષમાં તો દેશના પ્રત્યેક પ્રાંતમાં સંઘની શાખાઓ હિન્દુ શક્તિના સ્વરૂપે ઓળખાવા
લાગી.
તેમના
માટે સંઘકાર્ય એ જ જીવનકાર્ય બની ગયું હતું. સંઘકાર્યને સંપૂર્ણ સ્વાવલંબી તથા
આત્મનિર્ભર બનાવવા તેમણે બહારથી આર્થિક સહાયતા લેવાની પરંપરા રાખી નહીં. સંઘના
સ્વયંસેવકો જ આ કાર્ય માટે જરૂરી ધનસંચય, પરિશ્રમ, ત્યાગ આપવા તૈયાર થાય તેવા ઉમદા
હેતુથી ગુરુદક્ષિણાની અભિનવ પરંપરા સંઘમાં શરૂ કરી. આ ચિર પુરાતન તથા નિત્યનૂતન
હિન્દુ સમાજને સતત પ્રેરણા આપનારા પ્રતીક ભગવા ધ્વજને ગુરુના સ્થાને સ્થાપિત
કરવાનો તેમનો વિચાર તેઓ દીર્ઘદ્રષ્ટા હોવાનો પુરાવો આપે છે.
ડો.હેડગેવારે
બે પ્રભાવી ઘોષણાઓ કરી હતી. એક ઘોષણા એ કે ‘આ હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર છે.’ કેટલાક
નેતાઓ જ્યારે આ રાષ્ટ્રને ‘નેશન ઇન મેકિંગ’ કહી રહ્યા હતા તેવા સમયે
ડો.હેડગેવારે નિર્ભયતાપૂર્વક કહ્યું હતું
કે ‘આ હિન્દુ રાષ્ટ્ર છે’. બીજી ઘોષણા
એટલે ‘અમારે નવું કશું કરવાનું નથી’ આ ઘોષણાનું રહસ્ય ઘણા સમય સુધી લોકોની સમજમાં
નહોતું આવતું. કેટલાક લોકો ત્યારે ટીકા કરતાં કહેતા કે સંઘે નવું કંઈ કરવાનું નથી
તો પછી સંઘની સ્થાપના કેમ કરવામાં આવી?. પરંતુ લોકોની ટીકા ઉપર ધ્યાન આપ્યા સિવાય
તેઓ અવિરત સંઘકાર્ય કરતાં રહ્યા. પૂર્ણ વિચાર અને ગંભીર અભ્યાસ પછી તેમણે આ ઘોષણા
કરી હતી. તેઓ જાણતા હતા કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળમાં વ્યાપ્ત વિરાટ
રાષ્ટ્રપુરુષના દર્શન માત્રથી જનતાના મનમાં આત્મવિશ્વાસની ભાવના દ્રઢ થશે.
શબ્દોથી
નહીં આચરણથી શીખવવાની તેમની કાર્યપદ્ધતિ હતી. સંઘકાર્યની પ્રસિદ્ધિની ચિંતા કર્યા
વિના સંઘકાર્યના પરિણામથી જ લોકો સંઘકાર્યને મહેસુસ કરશે, તેને સમજશે અને સહયોગ
આપશે તેવું તેવું માનતા હતા.. પ્રારંભમાં સંઘકાર્ય માટે ઉપેક્ષા પછી ઉપહાસ, પછી
તટસ્થતા અને તે પછી સંઘનો વિરોધ અને પછી સંઘકાર્યનો સ્વીકાર આ ક્રમ જળવાતો રહ્યો.
સંઘના વિરોધથી માંડી બધી બાબતો સંઘ પ્રત્યેના પ્રેમમાં પરિવર્તિત થવા લાગી અને આજે જનતાની
સમક્ષ પ્રભાવી હિન્દુ રાષ્ટ્રનું મંગલમય ચિત્ર દેખાવા લાગ્યું છે. કાળક્રમે
ડો.હેડગેવાર સાચા પડ્યા. સંઘ સ્થાપના પછી જેમને પાગલ કહીને મજાક ઉડાવતા હતા તે ડો.હેડગેવાર
લોકોને દેવદૂત જેવા લાગવા માંડ્યા.
૨૧ જૂન,
૧૯૪૦ ના રોજ તેમનું નિધન થયું. તેમના નિધન પછી અનેક ચડાવ ઉતાર સંઘના જીવનમાં આવ્યા
હોવા છતાં સંઘનું કાર્ય આજે પોતાની નિશ્ચિત કરેલી ગતિથી આગળ વધી રહ્યું છે.. મહાન
કાર્ય માટેનો ધ્યેય મંત્ર,આગવી સંગઠન કુશળતા અને પ્રભાવી નેતૃત્વ આ ત્રણેય ગુણો ડો. હેડગેવારમાં એકત્ર હતા, એટલે જ
તેઓ યુગ પ્રવર્તક હતા.