Wednesday, 2 April 2025

યુગ પ્રવર્તક –ડો. હેડગેવાર

 


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી તરફ આગળ વધી રહ્યો છે. સંઘનું નામ આજે સર્વત્ર ચર્ચામાં છે. સંઘકાર્ય આજે  દેશભરમાં પ્રવાહમાન ધારાની જેમ સતત ગતિમાન છે. રાષ્ટ્રહિતમાં વિચારનારી સજ્જનશક્તિ સંઘનો વધતો વ્યાપ જોઈ પ્રત્યક્ષ સંઘ સાથે જોડાઈ રહી છે અથવા સામાજિક કાર્યમાં સક્રિય બનવા ઉત્સુક છે. સંઘકાર્યની અવિરત ધારાને જોતાં તેનું ઉદગમસ્થાન જોવા જાણવાની ઈચ્છા આપોઆપ જાગ્રત થાય તે સ્વાભાવિક છે. સંઘનો પ્રારંભ કોણે કર્યો? કેવી રીતે થયો? સંઘ સરિતાના પ્રવાહને ધરતી પર ઉતારનાર એ ભગીરથ કોણ છે? વગેરે...આ લેખ દ્વારા સંઘના આદ્યસ્થાપક ડો. કેશવરાવ બલિરામ હેડગેવારના જીવનના પ્રસંગો દ્વારા તેમના જીવનનો પરિચય મેળવીએ.

નાગપુરમાં ચૈત્ર સુદ એકમ એટલે કે વર્ષ પ્રતિપદા (ગુડી પડવા)ના પાવન દિવસે, અંગેજી  દિનાંક ૧ એપ્રિલ, ૧૮૮૯ના રોજ જન્મેલા કેશવ બલિરામ હેડગેવાર જન્મજાત દેશભક્ત હતા. બાળ કેશવના મનમાં અંગ્રેજો પ્રત્યે ભારોભાર ગુસ્સો તથા દેશને સ્વતંત્ર જોવાની અદમ્ય ઈચ્છા હતી. આવું તેમના અનેક પ્રસંગો પરથી કહી શકાય. રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણના હિરક મહોત્સવ નિમિત્તે શાળાઓમાં વહેંચાયેલી મીઠાઈને બાળ કેશવે કચરામાં ફેંકી દીધી હતી. વંદે માતરમના ઉદઘોષ પર પ્રતિબંધ મૂકનારા સર્ક્યુલરની અવગણના કરીને ૧૯૦૭માં વિદ્યાલયમાં નિરીક્ષકના સ્વાગતમાં પ્રત્યેક વર્ગખંડમાં વંદે માતરમનો  ઉદઘોષ કરવામાં આવ્યો. આ યોજના કેશવની જ હતી. આના માધ્યમથી પોતાની નિર્ભયતા, દેશભક્તિ તથા સંગઠન કુશળતાનો પરિચય કેશવે કરાવ્યો. ક્રાંતિકારી આંદોલનનું કેન્દ્ર કલકત્તા હોવાથી ડોક્ટરનો અભ્યાસ કરવા તેઓ કલકત્તા ગયા અને ખૂબ ઝડપથી ક્રાંતિકારી આંદોલનની સંસ્થા અનુશીલન સમિતિમાં જોડાઈને પોતાનું નામ પ્રસ્થાપિત કરી દીધું. અભ્યાસ પૂર્ણ થયા બાદ નાગપુર પાછા આવીને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતાં ડોક્ટરનો વ્યવસાય કે વિવાહ કરવાનો વિચાર ત્યાગી પૂર્ણ શક્તિથી સ્વતંત્રતા આંદોલનમાં જોડાઈ ગયા.

૧૯૧૫થી ૧૯૨૪ સુધીના સમયગાળા દરમિયાન દેશમાં ચાલનારા વિવિધ આંદોલનો તેમજ વિવિધ સંસ્થાઓમાં કામ કરતાં કરતાં એમનું ચિંતનશીલ અને પરિપક્વ મન તે સમયની સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને વિશ્વની પૃષ્ઠભૂમિમાં ભારતવર્ષના પરાજય વિષે પણ સતત ચિંતન મંથન કરતુ હતું. ભારતને ગ્રસિત કરનારા રોગનું નિદાન  શોધવામાં તેઓ વ્યસ્ત રહેતા..

સ્વતંત્રતા આંદોલનમાં લગભગ એક દાયકાની સક્રિય ભૂમિકા પછી તેમના ધ્યાનમાં આવ્યું કે આપણી અધોગતિ માટે આપણા સામાજિક દોષો જવાબદાર છે. સ્વાભિમાન શૂન્ય, આત્મવિસ્તૃત અને અસંગઠિત હિંદુ સમાજને કારણે જ વિદેશીઓ  આટલા બધા વર્ષો સુધી વિશાળ ભારત ઉપર શાસન કરી શક્યા. માત્ર અંગ્રજો કે મુસલમાનોને ગાળો કાઢવાને બદલે હિન્દુ સમાજે પોતાનામાં રહેલા દોષોને જવાબદાર ગણી પોતાના દોષો દૂર કરવાના પ્રયત્નોમાં લાગી જવું પડશે.  ભારતને સશક્ત બનાવવા માટે ભારતના ઈતિહાસ, વર્તમાન તથા ભવિષ્યને સાંકળીને એમણે રાષ્ટ્રીયતાના મૂળ પ્રશ્ન પર ઊંડો વિચાર કર્યો. ભાષણો, અપીલો અથવા અપેક્ષાઓ માત્રથી રાષ્ટ્ર સબળ બની શકે નહિ.  એ માટે નિરંતર દેશભક્તિ, સામુહિકતા, સામાજિક સંવેદનશીલતા તેમજ એકતાની ભાવનાનો સંચાર થવો જોઈએ.

ભારત પાસે ચિંતકો અને સિદ્ધાંતકારો હતા, ચિંતન અને સિદ્ધાંતો હતા, ઈતિહાસ અને પરંપરાઓ હતી, ભવિષ્યની કલ્પનાઓ પણ હતી, પરંતુ આ બધાને એક સૂત્રમાં પરોવનારું અને એક સ્વર પ્રદાન કરનારું કોઈ સંગઠન નહોતું. ડો.હેડગેવારે રાષ્ટ્રજીવનની આ ઉણપ સમજી લઈને એને પૂર્ણ કરવાનું વ્રત લીધું.

પોતાના અંતરંગ સાથીઓ સાથે  તેમના હૃદયમાં રહેલા વિચારો સ્પષ્ટ કરતાં  અને કહેતા કે કોઈક એવા સંગઠન અને પદ્ધતિને આકાર આપવો જોઈએ જે દેશને માટે પ્રભાવી અને સ્થાયી પરિબળ બની શકે અને આવતીકાલના સમાજનું તેમાંથી ઘડતર થાય. રાજનીતિથી આ કામ ન થઇ શકે, રાષ્ટ્રીયતાનો ભાવ જ આની ચાલના આપી શકે.

તેમના મનમાં એક દ્રઢ વિચાર સ્થાયી હતો કે ‘હું આ દેશનો  ઘટક છું અને મારે દેશ માટે ત્યાગ કરવો એ મારું કર્તવ્ય છે’, એ ભાવનાનું પુનર્જાગરણ જ સુષુપ્ત સમાજમાં નવો પ્રાણ સંચાર કરશે. પોતાના અંગત સુખ છોડીને દેશ અને સમાજ માટે પૂર્ણ જીવન સમર્પિત કરનારા સેંકડો યુવાનો જયારે બહાર આવશે ત્યારે દેશમાં પરિવર્તન આવશે. એ માટે જે સંગઠન કામ કરશે તે સંગઠન સમાજજીવન માટે એક વિધાયક આંદોલન બની જશે. આ કામની શરૂઆત હું મારાથી જ કરીશ..

આ દ્રઢ સંકલ્પનું  શુભ પરિણામ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. આ ભગીરથ સંકલ્પની સિદ્ધિ માટે ડો. હેડગેવારે ૧૯૨૫માં વિજયાદશમીના દિવસે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરી. નાગપુરના મોહિતેવાડાના મેદાનમાં શરૂ થયેલી શાખા ધીરે ધીરે દેશભરમાં ફેલાઈ ગઈ. ડો. હેડગેવારજીના એક ઇશારે પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરનાર નવલોહિયા યુવાનોની હારમાળા સર્જાઈ.. ૧૯૪૦માં ડોક્ટર હેડગેવારજીના અવસાન સુધી  ૧૫ વર્ષમાં તો દેશના પ્રત્યેક પ્રાંતમાં સંઘની શાખાઓ હિન્દુ શક્તિના સ્વરૂપે ઓળખાવા લાગી.

તેમના માટે સંઘકાર્ય એ જ જીવનકાર્ય બની ગયું હતું. સંઘકાર્યને સંપૂર્ણ સ્વાવલંબી તથા આત્મનિર્ભર બનાવવા તેમણે બહારથી આર્થિક સહાયતા લેવાની પરંપરા રાખી નહીં. સંઘના સ્વયંસેવકો જ આ કાર્ય માટે જરૂરી ધનસંચય, પરિશ્રમ, ત્યાગ આપવા તૈયાર થાય તેવા ઉમદા હેતુથી ગુરુદક્ષિણાની અભિનવ પરંપરા સંઘમાં શરૂ કરી. આ ચિર પુરાતન તથા નિત્યનૂતન હિન્દુ સમાજને સતત પ્રેરણા આપનારા પ્રતીક ભગવા ધ્વજને ગુરુના સ્થાને સ્થાપિત કરવાનો તેમનો વિચાર તેઓ દીર્ઘદ્રષ્ટા હોવાનો પુરાવો આપે છે.

ડો.હેડગેવારે બે પ્રભાવી ઘોષણાઓ કરી હતી. એક ઘોષણા એ કે ‘આ હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર છે.’ કેટલાક નેતાઓ જ્યારે આ રાષ્ટ્રને ‘નેશન ઇન મેકિંગ’ કહી રહ્યા હતા તેવા સમયે ડો.હેડગેવારે  નિર્ભયતાપૂર્વક કહ્યું હતું કે ‘આ હિન્દુ રાષ્ટ્ર છે’.  બીજી ઘોષણા એટલે ‘અમારે નવું કશું કરવાનું નથી’ આ ઘોષણાનું રહસ્ય ઘણા સમય સુધી લોકોની સમજમાં નહોતું આવતું. કેટલાક લોકો ત્યારે ટીકા કરતાં કહેતા કે સંઘે નવું કંઈ કરવાનું નથી તો પછી સંઘની સ્થાપના કેમ કરવામાં આવી?. પરંતુ લોકોની ટીકા ઉપર ધ્યાન આપ્યા સિવાય તેઓ અવિરત સંઘકાર્ય કરતાં રહ્યા. પૂર્ણ વિચાર અને ગંભીર અભ્યાસ પછી તેમણે આ ઘોષણા કરી હતી. તેઓ જાણતા હતા કે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય કાળમાં વ્યાપ્ત વિરાટ રાષ્ટ્રપુરુષના દર્શન માત્રથી જનતાના મનમાં આત્મવિશ્વાસની ભાવના દ્રઢ થશે.

શબ્દોથી નહીં આચરણથી શીખવવાની તેમની કાર્યપદ્ધતિ હતી. સંઘકાર્યની પ્રસિદ્ધિની ચિંતા કર્યા વિના સંઘકાર્યના પરિણામથી જ લોકો સંઘકાર્યને મહેસુસ કરશે, તેને સમજશે અને સહયોગ આપશે તેવું તેવું માનતા હતા.. પ્રારંભમાં સંઘકાર્ય માટે ઉપેક્ષા પછી ઉપહાસ, પછી તટસ્થતા અને તે પછી સંઘનો વિરોધ અને પછી સંઘકાર્યનો સ્વીકાર આ ક્રમ જળવાતો રહ્યો. સંઘના વિરોધથી માંડી બધી બાબતો સંઘ પ્રત્યેના  પ્રેમમાં પરિવર્તિત થવા લાગી અને આજે જનતાની સમક્ષ પ્રભાવી હિન્દુ રાષ્ટ્રનું મંગલમય ચિત્ર દેખાવા લાગ્યું છે. કાળક્રમે ડો.હેડગેવાર સાચા પડ્યા. સંઘ સ્થાપના પછી જેમને પાગલ કહીને મજાક ઉડાવતા હતા તે ડો.હેડગેવાર લોકોને દેવદૂત જેવા લાગવા માંડ્યા.

૨૧ જૂન, ૧૯૪૦ ના રોજ તેમનું નિધન થયું. તેમના નિધન પછી અનેક ચડાવ ઉતાર સંઘના જીવનમાં આવ્યા હોવા છતાં સંઘનું કાર્ય આજે પોતાની નિશ્ચિત કરેલી ગતિથી આગળ વધી રહ્યું છે.. મહાન કાર્ય માટેનો ધ્યેય મંત્ર,આગવી સંગઠન કુશળતા અને પ્રભાવી નેતૃત્વ આ  ત્રણેય ગુણો ડો. હેડગેવારમાં એકત્ર હતા, એટલે જ તેઓ યુગ પ્રવર્તક હતા.


Tuesday, 21 January 2025

શ્રીરામ જન્મભૂમિ: ઈતિહાસ, સંઘર્ષ અને ભવ્ય વિજયગાથા

 


પોષ સુદ બારસ, ૧૧/૧/૨૦૨૫ શનિવારના દિવસે અયોધ્યામાં શ્રીરામમંદિર પુનઃ પ્રાણપ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર ભારતવર્ષમાં  પ્રતિષ્ઠા દ્વાદશી ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી. વિ.સં.૨૦૮૦, પોષ સુદ બારસ, ૨૨મી જાન્યુઆરી,૨૦૨૪નો દિવસ વિશ્વના ઇતિહાસમાં અમર સ્મૃતિ દિવસ હતો.. આ દિવસે અયોધ્યામાં શ્રીરામમંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સંતોના સતત સંઘર્ષ, સમાજની સંગઠિત શક્તિના પ્રયાસ અને રાજકીય ઈચ્છાશક્તિના કારણે આપણા સૌ માટે પરમ સૌભાગ્યનું આ સ્વપ્ન સાકાર થયું. ઘણી પેઢીઓ આ ખુશીની ક્ષણ જોવાનું સપનું લઈને દુનિયા છોડી ગઈ. અત્યારની પેઢીને આ સૌભાગ્ય મળ્યું.  આ સંઘર્ષના ઈતિહાસને આપણે સૌએ ખાસ કરીને યુવા પેઢીએ જાણવો રહ્યો.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની સ્મૃતિમાં તેમના પુત્ર કુશે તેમના ગુરુના માર્ગદર્શનથી અયોધ્યાની ભૂમિ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર પર સૌથી પહેલું આક્રમણ ઈ.સ. પૂર્વે ૧૫૦માં ગ્રીક આક્રમણકારી મિલિંદે કર્યું હતું. ઈ.સ. ૧૫૨૮ના યુદ્ધમાં મોગલ બાદશાહ બાબરના આદેશથી તેના સેનાપતિ મીરબાંકીએ મંદિરને જમીનદોસ્ત કર્યું.. સૌના આરાધ્યદેવ પ્રભુ શ્રીરામનું મંદિર તુટ્યું એ ભારતના અપરાધભાવનો સમય હતો. એક વિદેશી આક્રમણકારીએ આપણું જે અપમાન કર્યું હતું તેને દૂર કરવા માટે પહેલા અયોધ્યાના લોકો, ત્યારબાદ સંતો અને ૧૯૮૪ પછી આખો દેશ સંઘર્ષરત રહ્યો.. મંદિરના મુખ્ય પૂજારી મહાત્મા શ્યામાનંદજી મહારાજનું બલિદાનમાં સૌથી પહેલું નામ છે.  સંતો દ્વારા કાયદાકીય લડાઈઓ પણ લડવામાં આવી. અનેક રાજા મહારાજાઓ, મુગલો અને અંગ્રેજોની અદાલતોમાં  ન્યાય માટે અનેક કેસ ચાલ્યા. ૧૮૮૫માં મહંત રઘુબરદાસ દ્વારા પ્રથમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ૧૯૩૪, ૧૯૩૮ અને ૧૯૪૯માં પણ સંત સમાજ આગળ આવ્યો અને ૧૯૫૦ પછી મોટા ભાગની અરજીઓ પણ સંતો વતી  કોર્ટમાં પહોંચી. ૧૫૨૮થી ૧૯૪૯ સુધીના સમયગાળામાં ૭૬ યુદ્ધો થયા, જેમાં લાખો રામભક્તોએ પોતાના પ્રાણની આહુતિ આપી.

રાષ્ટ્રીય વિચારધારા ધરાવતા સંગઠનોની સક્રિયતાના કારણે સંતોના રામ જન્મભૂમિ મુક્તિ સંગ્રામને વેગ મળ્યો.  ૧૯૬૬માં શરુ થયેલા ગૌરક્ષા અંદોલન બાદ  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી માધવરાવ ગોળવલકરજીની ગોરખપુર અને કાશીની મુલાકાત દરમિયાન સંતોએ અયોધ્યાનો વિષય તેમની સમક્ષ મૂક્યો  અને સહકારની અપેક્ષા રાખી. ત્યારબાદ ભારત-પાકિસ્તાન યુદ્ધ, જેપી આંદોલન અને કટોકટીની પરિસ્થિતિને કારણે કોઈ નિર્ણાયક યોજના બની શકી નહીં. કટોકટી પછી સંઘના તૃતીય સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસજીના સમયમાં આ વિષય પર ગંભીર ચર્ચા વિચારણા થઈ અને ૧૯૮૪થી આ સંઘર્ષને સમર્થન આપવાનું મનોબળ બન્યું. ૮ એપ્રિલ,૧૯૮૪ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ  ધર્મ સંસદમાં સંતો અને ધર્મગુરુઓની હાજરીમાં ‘શ્રીરામજન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિ’ ની રચના દ્વારા આ જનજાગૃતિ અભિયાનને દેશવ્યાપી બનાવવાનું નક્કી થયું અને તેનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદને સોંપવામાં આવ્યું.

૧૯૮૪ થી ૧૯૮૯ દરમિયાન ભારતભરમાં જુદા જુદાં પ્રકારે અંદોલનો અને અભિયાનો દ્વારા સામાજિક જાગૃતિના પ્રયાસો થયા. શ્રીરામ જાનકી રથયાત્રા, શ્રી રામ જ્યોતિ પ્રસાર અભિયાન, શ્રીરામ શીલા પૂજન વગેરે મુખ્ય  અભિયાનો દ્વારા ભારતભરમાં ભાવ જાગરણના પ્રયાસો થયા. યુવાનોને આ અભિયાનમાં જોડવા માટે હિન્દુ યુવા સંમેલનો યોજવામાં આવ્યા. ૧૯૯૦માં પ્રથમ કારસેવા કરવાનું નક્કી થયું.  કારસેવા માટે ગયેલા લાખો રામભક્તો  પર કરવામાં આવેલા ગોળીબારમાં ઘણા રામભક્તોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આખરે છઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨ના દિવસે વિવાદિત ઢાંચો તોડી પાડ્યો. સંતો અને રાષ્ટ્રીય સંગઠનો સિવાય અન્ય કોઈ સંગઠન ખૂલીને એમ કહી શક્યું નહીં કે ત્યાં રામ મંદિર હતું અને માત્ર રામમંદિર જ બનવું જોઈએ.

રામ જન્મભૂમિનો મહિમા સ્થાપિત કરવામાં મહત્વનું પરિમાણ રાજકીય સંકલ્પ શક્તિનું પણ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી રામ જન્મભૂમિની મુક્તિ માટે સંકલ્પિત હતું.. અદાલતમાં  રામજન્મભૂમિ મુક્તિ માટે જે નિર્ણયો આવ્યા હતા તેમાં દરેક સરકારે તેના અમલીકરણમાં તુષ્ટીકરણને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો. ૨૦૧૪ બાદ ભાજપ સરકાર દ્વારા ન્યાયાલયના નિર્ણયને તેના મૂળ સ્વરૂપમાં લાગુ કરવાની દિશામાં પગલાં લીધા. માનનીય સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા નવેમ્બર, ૨૦૧૯ના દિવસે  શ્રીરામમંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો. ૪૯૨ વર્ષ સુધી સતત સંઘર્ષરત  હિન્દુ સમાજ મંદિરની જમીન મેળવવા માટેના પ્રયાસમાં સફળ થયો. હિન્દુ સમાજના અખંડ ધૈર્ય, અતૂટ શ્રદ્ધા, અડગ વિશ્વાસ, સતત સંઘર્ષ અને દ્રઢ નિશ્ચયના પરિણામ સ્વરૂપ વિજયનો શંખનાદ થયો.  જેને પરિણામે ૫ ઓગસ્ટ, ૨૦૨૦ના પાવન દિને અયોધ્યામાં શ્રીરામમંદિરના ભૂમિપૂજનથી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું. સંવત ૨૦૮૦,પોષ સુદ બારસ, ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ની બપોર પવિત્ર અભિજીત મુહૂર્તમાં રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ. દરેક ભારતીય તન,મન,ધનથી પ્રભુભક્તિમાં તલ્લીન થયા અને સમગ્ર વિશ્વ આ દિવ્ય ઉજવણીની ક્ષણોનું સાક્ષી બન્યું.

મંદિરના નિર્માણ કાર્ય  માટે 11 કરોડથી વધુ લોકોએ નિધિ સમર્પણમાં આર્થિક સહયોગ આપ્યો. જેમણે મંદિર માટે યોગદાન આપ્યું તેમાં જૈન, બૌદ્ધ, શીખ, શૈવ, વૈષ્ણવ જેવી વિવિધ પૂજા પ્રણાલીઓને અનુસરતા લોકો પણ હતા. પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ દેશના દરેક ખૂણેખૂણેથી યોગદાન આવ્યું હતું. સૌ માટે  રામ પોતાના  હતા તેથી આપણે કહીએ છીએ કે ‘રામ દરેકના છે, રામ દરેકમાં છે. ‘

અયોધ્યામાં શ્રીરામમંદિરના નિર્માણ દ્વારા ભારતે રાષ્ટ્રીય ગૌરવયાત્રાનો એક તબક્કો પૂર્ણ કર્યો છે. દેશને વિકાસના ઉચ્ચ શિખરે લઈ જવાની યાત્રા ચાલુ થઈ છે. મંદિર નિર્માણની સાથે અયોધ્યાને પણ પુનર્જીવિત કરવામાં આવી રહી છે. શાશ્વત અને સાંસ્કૃતિક ઓળખ સાથે અયોધ્યા વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનવા તરફ આગળ વધી રહી છે ત્યારે ભારત વિશ્વમંચ પર એક મજબૂત, સમૃદ્ધ અને સશક્ત  રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. વાસ્તવમાં અયોધ્યા એટલે નવા ભારતનો નવો સૂર્યોદય.

 

 


Wednesday, 15 January 2025

‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાને યુવાનો પોતાના જીવનમાં આત્મસાત કરશે તો સર્વત્ર ભારતનો જયજયકાર થશે...

 

ભારતભૂમિનું એ સદભાગ્ય રહ્યું  છે કે આ ભૂમિ પર જન્મેલા અનેક  વ્યક્તિત્વો તેમના કાર્યોથી અમર થઇ ગયા. તે વ્યક્તિ અને  તેમના સંદેશ હરહમેશ પ્રસ્તુત હોય છે. આવું જ એક તેજસ્વી વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. ભારતના અતીત, વર્તમાન અને ભવિષ્ય સાથે અભિન્ન રીતે જોડાયેલું તે નામ છે. સ્વામી વિવેકાનંદના જીવનને   ભારતના ઇતિહાસનું એક સુવર્ણ પ્રકરણ ગણી શકીએ.

૧૨મી જાન્યુઆરી એ નરેન્દ્રમાંથી બનેલા સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ છે. ભારતવાસીઓ માટે આ એક પવિત્ર ઉત્સવનો દિવસ છે. તેમના ૩૯ વર્ષના ટૂંકા જીવનનો પ્રત્યેક શબ્દ તેજ અને ઉર્જાથી ભરેલો છે. પોતાના જીવનકાળમાં તેમણે ભારત અને સમગ્ર વિશ્વની પ્રજાને ઢંઢોળવાનું કાર્ય કર્યું. તેમનુ જીવનકાર્ય એટલું તો ઉજ્જવળ અને ભવ્ય હતું કે આટલા વર્ષો પછી પણ સ્વામીજીની સ્મૃતિ માત્ર આપણામાં પ્રેરણાની લહેર પ્રસરાવે છે.

    આપણે નિરાંતે વિચારીએ તો એવું લાગે છે કે એવું કયું તત્વ હશે એમના જીવનનું જે આજે આટલા વર્ષો પછી પણ ભારતીય માનસ પર મજબૂત પ્રભાવ ધરાવે છે. એમના વિચારો, એમના શબ્દો, એમનો આર્તનાદ આજે પણ પ્રત્યેક ભારતીયને અંદરથી હચમચાવી દે છે. આટલા બધા વર્ષો  પહેલા બોલાયેલા શબ્દો આજે પણ આપણામાં શક્તિ અને આત્મવિશ્વાસ ભરી દે છે તો તે જે સમયે બોલાયેલા હતા ત્યારે કેટલા શક્તિશાળી હશે તેનો તો વિચાર જ કરવો રહ્યો..

    સ્વામી વિવેકાનંદ યુવાનોના સૌથી મોટા આદર્શ છે. તેનું કારણ એ છે કે તેમના જીવનના એક એક વિચાર અનંત ઊર્જાના તરંગોથી પરિપૂર્ણ હતા. તેમના વિચાર અને દર્શનમાં તથ્ય, તર્ક, ધર્મ, કર્મ, જ્ઞાન, વિજ્ઞાન એમ બધાનો સમાવેશ છે. તેઓ કહેતા કે વીર્યવાન, તેજસ્વી, શ્રદ્ધાસંપન્ન અને દૃઢ વિશ્વાસથી પરિપૂર્ણ નચિકેતા સમાન ૧૦૦ નવયુવાનો મળી જાય તો સંસારની કાયાપલટ થઈ શકે. તેમને યુવાનો પર સંપૂર્ણ ભરોસો હતો. શક્તિશાળી યુવાનો દેશની કાયાપલટ કરી શકે તે બાબત પર તેમને પૂર્ણ વિશ્વાસ હતો.

     સ્વામીજીનો યુવા વર્ગ માટે કોઈ સંદેશ હોય તો તે છે ‘બળવાન બનો, સાહસી બનો, નિર્ભય બનો.’ તેઓ ગીતાના અધ્યયન કરતાં ફૂટબોલની રમત પર વધુ આગ્રહ રાખતા. તેઓ જાણતા હતા કે શક્તિદાયી મન બલિષ્ઠ શરીરમાં જ શક્ય છે. સ્વામીજી યુવાનોને કહે છે આગળ વધો, આપણે અનંત શક્તિ, અનંત ઉત્સાહ, અનંત સાહસ અને અનંત ધૈર્ય રાખવું  આવશ્યક છે, તો જ મહાન કાર્યો સંપન્ન થઈ શકશે. મદ્રાસના એક પ્રવચનમાં સ્વામીજીએ કહ્યું હતું તમારામાંનો દરેકે દરેક જો આત્મશ્રદ્ધા રાખે કે તેમનામાં  અનંત શક્તિ છે તો અવશ્ય તમે સમસ્ત ભારતનું પુનર્જીવન સાધી શકશો.

     સ્વામીજી યુવાનોને કહેતા કે શિક્ષણનો ઉદ્દેશ્ય શું હોય? યુવાનો શિક્ષણ દ્વારા શું ગ્રહણ કરે છે? માત્ર ને માત્ર ડિગ્રી કે જે આપણા રોજગાર અને આજીવિકા માટેનું માધ્યમ બને છે તે..? સ્વામીજીએ શિક્ષણને અંત્યંત સુંદર ભાષામાં પરિભાષિત કરી છે. યુવાનોને કહેતા કે જે શિક્ષણ સામાન્ય વ્યક્તિને પોતાના  જીવનમાં સંઘર્ષ કરવા માટે સામર્થ્યવાન બનાવે છે, જે મનુષ્યને ચારિત્ર્યવાન અને પરોપકારની ભાવના યુક્ત તથા સિંહ જેવું સાહસ લાવે છે તે જ સાચું શિક્ષણ છે. આ શિક્ષણ પોતાના વ્યવહારમાં  પ્રગટ થાય તે માટે સ્વામીજીએ ‘ત્યાગ’ અને ‘સેવા’ એમ બે આદર્શોને રાષ્ટ્રના આદર્શો તરીકે આપણી સામે મૂક્યા છે. આ આદર્શોના આચરણ દ્વારા જીવન સામર્થ્યપૂર્ણ બને એમ તેઓ માનતા હતા. શિક્ષણ અને ધન પ્રાપ્ત કર્યા પછી જે લોકો સમાજનું ઋણ ચૂકવતા નથી તેમને તેઓ સમાજદ્રોહી ગણતા. સમાજનું ઋણ ચૂકતે કરવાના આહવાનથી પ્રેરાઈને સેંકડો યુવાનોએ પોતાના જીવન સમાજ માટે સમર્પિત કર્યા હતા.

     ભારતની સૌથી મોટી શક્તિ તેનું યુવાધન છે. ભારતમાં આજે યુવાનોના સંદર્ભમાં ખૂબ સાનુકૂળ અને આશાસ્પદ સ્થિતિ છે. દુનિયાના કોઈપણ દેશ કરતાં ભારતમાં યુવાનોની સંખ્યા વધુ છે. આ યુવાનો જ દેશને સુપર પાવર બનાવશે.. ભારતમાં એવું યુવાધન છે જેનામાં કંઈ કરી છૂટવાની ખેવના છે. બદલાતા સમય સાથે દેશની પ્રગતિનું મૂલ્યાંકન કરીને પોતે વ્યક્તિગત વિકાસની સાથે સાથે દેશ માટે કંઈક કરવા તત્પર છે. આ યુવાનો અનુશાસનમાં માને છે. સંસ્કૃતિના પ્રવાહો નિરંતર રાખવામાં, રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં, સમાજ અને વિશ્વની વિચારધારાને દિશા આપવામાં, દેશનું વાતાવરણ બદલવામાં, વિશ્વમાં ભારતનો ડંકો વગાડવામાં, સામાજિક દૂષણનો ઉખેડીને ફેંકી દેવામાં, ભૌતિકતા તરફથી આધ્યાત્મ તરફની યાત્રાને ઝડપી બનાવવામાં, હિન્દુત્વનો સાચા અર્થમાં પ્રસાર કરવામાં ભારતના યુવાનો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે તેમ છે.

     વાસ્તવમાં આજે અનેક યુવાનો આવી ભૂમિકા ભજવી પણ રહ્યા છે. સ્વામી વિવેકાનંદ જેવા મહાપુરુષના જીવનથી પ્રેરાઈને અનેક યુવાનો અને યુવતીઓ ધર્મકાર્ય માટે, આધ્યાત્મિક ચેતનાના પ્રસાર માટે ત્યાગ અને સમર્પણની ભાવના સાથે ઘરબાર અને એશઆરામ છોડીને સંન્યાસીના સ્વરૂપમાં સક્રિય છે. અનેક યુવાનો પોતપોતાની રીતે સમાજસેવાના કાર્યોમાં પણ લાગેલા છે. કોઈ વ્યસન મુક્તિ માટે, કોઈ દિવ્યાંગો માટે,  કોઈ વનવાસીઓ માટે, કોઈ રમતગમતમાં, કોઈ વિજ્ઞાનના ક્ષેત્રમાં, કોઈ સંરક્ષણના ક્ષેત્રમાં સક્રિય છે. અને તેમની આ સિદ્ધિઓ પણ ઉચ્ચકક્ષાની છે. વિશ્વભરની હોસ્પિટલોમાં ભારતીય ડોક્ટરો, આઇટીના ક્ષેત્રમાં ભારતીય યુવાનો આજે નામના કમાઈ રહ્યા છે, ભારતીય યુવાનની ક્ષમતા અમર્યાદિત છે, યોગ્ય દિશાસૂચન અને માર્ગદર્શન મળે તો ચમત્કારિક પરિણામો બતાવી શકે તેમ છે.

     સ્વામી વિવેકાનંદે યુવાનો માટે  જે બોધ પ્રગટ કર્યો હતો તેને આત્મસાત કરીને કર્તવ્યપથ પર અગ્રેસર થવું પડશે. ૨૧મી સદી ભારતની સદી છે. તેનું નેતૃત્વ ભારતના યુવાનો કરશે. આ માટે ચારિત્ર્યવાન. અનુશાસિત, આત્મગૌરવથી પરિપૂર્ણ વિચારોને સમાજજીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રવાહિત કરવાની આવશ્યકતા છે. યુવાનો રાષ્ટ્રની ગૌરવમય પરંપરાની સાથે નાગરિક કર્તવ્યનું પાલન પણ કરે. યુવાનોનું એ પ્રાથમિક અને અનિવાર્ય દાયિત્વ છે કે સમાજને સ્વાવલંબી બનાવવાના ઉદ્દેશ્યથી નવીન વિચારો અને પથ પર સતત અગ્રેસર રહે.. ‘રાષ્ટ્ર પ્રથમ’ ની ભાવનાને યુવાનો પોતાના જીવનમાં આત્મસાત કરશે તો સર્વત્ર ભારતનો જયજયકાર થશે. સ્વામીજીની જન્મજયંતિ આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવવાનો સંકલ્પ કરીએ અને સમગ્ર વિશ્વને યુવા શક્તિથી સમૃદ્ધ કરીએ..

 

 



 

 

 

 

 

 

Saturday, 14 December 2024

ગીતા વિમર્શ

 

        માગશર સુદ એકાદશી એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિ. ભગવાન શ્રીકૃષ્ણ  ભગવદ્ ગીતાના દસમા અધ્યાય ‘વિભૂતિયોગ’ માં કહે છે કે, “ઋતુઓમાં હું વસંત છું અને મહિનાઓમાં ઉત્તમ એવો માગશર  છું.”  ભગવાને માગશર મહિનાને પોતાની એક વિભૂતિ ગણાવી છે. માગશર માસની સુદ એકાદશીએ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણના મુખેથી મોક્ષ આપનારી ગીતાનું પ્રાગટ્ય થયું હતું. તેને ‘મોક્ષદા એકાદશી’ પણ કહેવાય છે. મહત્વની બાબત એ છે કે દરેક અવતારોની જયંતિ ઉજવાય પણ ગીતા એકમાત્ર ગ્રંથ છે જેની જયંતિ ઉજવવામાં આવે છે.

 

ભગવદ્ ગીતા એ ભારતની ઓળખ છે. તે ભારતનું તત્વજ્ઞાન અને કાવ્ય છે. ૫૦૦૦ વર્ષ પૂર્વે ભારતની ભૂમિમાંથી પ્રગટેલો ગ્રંથ આજે સંપૂર્ણ વિશ્વને માર્ગદર્શન કરી રહ્યો છે.  આજે  વિશ્વભરમાં ગીતાના શ્લોક બહુ જ આદર સહિત ગાવામાં આવે છે. ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો તાત્વિક સંવાદ છે. અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર માનવજાત માટે  જીવન મૂલ્યોનો સંદેશ આપે છે. એ એક એવી રચના છે કે જે આપણને જીવન સર્વોત્તમ રીતે કેવી રીતે જીવાય એની કળા અને એનો સિદ્ધાંત શીખવે છે. વિષમ પરિસ્થિતિઓનો સામનો કરી વિજય પ્રાપ્ત કરવાનો ઉપદેશ આપે છે. તેમાંથી સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ મળી રહે છે. અહિંસા પર અટલ વિશ્વાસ રાખનાર મહાત્મા ગાંધીજીએ  ભગવદ્ ગીતાને પોતાની પ્રેરણા માની છે. જીવનની વિકટ સમસ્યાઓનો ઉકેલ તેઓ ગીતામાંથી જ શોધતા હતા.

 

ભગવદ્ ગીતાની વાણી આજના યુગમાં સર્વક્ષેત્રના લોકો  માટે પ્રેરક છે. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રીપુરુષ વગેરે દરેક વર્ગના લોકો તથા ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક, વિદ્યાર્થી, વેપારી વગેરે કોઈપણ ક્ષેત્રમાં કાર્યરત મનુષ્ય ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનને ઉન્નતિના શિખર પર પહોંચાડી શકે છે. ગીતાનું જ્ઞાન ફક્ત અર્જુન માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવ સમાજ માટે પ્રેરક ખજાનો છે, જેનાથી  હતાશ નિરાશ મનમાં આશા અને  નવીન ઉત્સાહ ભરાય છે. વિશ્વના મોટાભાગના તત્વ ચિંતકો, ક્રાંતિકારીઓ, વૈજ્ઞાનિકોએ આ  મહાગ્રંથમાંથી પ્રેરણા લીધી છે અને લઇ રહ્યા છે. મહાન ક્રાંતિવીર મદનલાલ ઢીંગરાને ફાંસી આપવામાં આવી ત્યારે એમના હાથમાં ગીતા હતી.તેમનો અંતિમ સંદેશ હતો,  ‘દેશની સેવા એ શ્રીકૃષ્ણની જ સેવા છે.’

 

આજના આધુનિક જમાનામાં ‘અમે યંગસ્ટર્સ છીએ, જો અમે ગીતા હાથમાં લઈશું તો અમારી ઇમ્પ્રેશન ખરાબ થઈ જશે. શાસ્ત્ર-ગ્રંથ તો વડીલોએ વાંચવા જોઈએ’... એવા સંવાદ યુવાનોના મુખે ઘણીવાર સાંભળવામાં આવે છે. પોતાની ઇમ્પ્રેશન, પોતાના માન સન્માનનો ખ્યાલ રાખવાવાળા યુવાનો અર્જુનના વ્યક્તિત્વને જુએ. તે શ્રેષ્ઠ ધનુર્ધર તેમજ સર્વગુણ સંપન્ન યોદ્ધા હતો. વિશેષ વાત એ હતી કે અર્જુનના મિત્ર સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન હતા.

 

ગીતા એ જીવનમાં શુભ વિચારોનું ઘડતર થાય એવા પ્રકારનો એક પ્રકારે ગુરુ-શિષ્ય સંવાદ છે. ગીતાનો મુખ્ય સંદેશ છે શીખવું, શીખવવું અને તેનું આચરણ કરવું. વિદ્યાર્થીઓએ અર્જુન જેવા આદર્શ બનીને  શીખવાનું છે અને તે અનુસાર આચરણ કરવાનું છે. યુદ્ધભૂમિ પર ભ્રમિત અને હતપ્રભ મનોદશાવાળો વીરયોદ્ધો અર્જુન એક શ્રેષ્ઠ વિદ્યાર્થી અને શિષ્ય બનીને પોતાના ગુરુ શ્રીકૃષ્ણ ભગવાનના માર્ગદર્શનને અનુસરીને પોતાની આંતરિક શક્તિઓને યોગ્ય દિશામાં વાળી પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સુંદર સંદેશ ગુરુ-શિષ્યના પરસ્પરના સંબંધને કેવી રીતે દ્રઢ બનાવે છે તે ગીતા દ્વારા સ્પષ્ટ થાય છે.

 

એક તરફ ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ આપણને શીખવે છે કે આદર્શ ગુરુ અથવા શિક્ષક કેવો હોય અથવા કેવો હોવો જોઈએ તો બીજી તરફ અર્જુનનું વ્યક્તિત્વ એ શીખવે છે કે આદર્શ વિદ્યાર્થી હંમેશા નિષ્ઠાવાન, પ્રામાણિક, જ્ઞાન પ્રાપ્તિ માટે સદાય તત્પર તથા જીવન વિષયક પ્રશ્નો પ્રત્યે ઉત્સુક અને જીજ્ઞાસુ  હોવો જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને કહે છે કે જીવન શ્રેષ્ઠ રીતે વ્યતિત કરવું હોય તો સદૈવ સર્વોત્તમ અને પરિપૂર્ણ વિદ્યાર્થી બની રહો. જો યુવાનો  પણ આ દ્રષ્ટિકોણ અપનાવે અને ભગવાન શ્રીકૃષ્ણએ દર્શાવેલા માર્ગ પર ચાલે તો  તેમનું જીવન પણ સર્વોત્કૃષ્ટ બની શકે....

 

ભારત સરકારની નવી શિક્ષણનીતિ અનુસાર પાઠ્યક્રમમાં ચારિત્ર્ય ઘડતરમાં ઉપયોગી થાય એવા વિષયોને સ્થાન મળ્યું છે. આને આધારે ગુજરાત સરકારે શાળાના શિક્ષણમાં ભગવદ્ ગીતાને સ્થાન આપ્યું છે. આવા સમયે શિક્ષકો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તેવું ગીતાનું સ્વરૂપ એ આજની આવશ્યકતા છે. આજની પાઠશાળાઓમાંથી જ ભવિષ્યના ભારતનું નિર્માણ થવાનું છે. રાષ્ટ્ર નિર્માણમાં આજના વિદ્યાર્થીઓનું જ વિશેષ યોગદાન રહેશે. એ દૃષ્ટિએ વિદ્યાર્થીઓના જીવન ઘડતરને સહાયરૂપ એવું સાહિત્ય ભગવદગીતા સ્વરૂપે શાળામાંથી જ મળે તો વિદ્યાર્થીઓ દ્વારા  વ્યવહારુ તત્વજ્ઞાનનું અનુસરણ થઈ શકે.

 

ગીતા જયંતીના પાવન પર્વે આપણે સૌ ગીતાનું વાંચન, મનન અને  સેવન કરીએ અને તેના અનુસાર આચરણ કરવાનો સંકલ્પ કરીએ. ગીતાનું અધ્યયન કરનારા સૌ કોઈ અર્જુનની જેમ શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારી ભગવાનની કૃપા મેળવે અને જીવનમાં વિજય પ્રાપ્ત કરે એવી પ્રાર્થના...

 

ડો. નિખિલ ખમાર

પાટણ

 

 

 

 

 

 

 

 

Monday, 23 September 2024

સર્વહિતકારક નાગરિક અનુશાસન એ સમયની માગ છે.

 


ભારત અત્યારે સ્વાધીનતાનું અમૃત પર્વ મનાવી રહ્યું છે. વિવિધ ક્ષેત્રોમાં ભારતે પ્રગતિની હરણફાળ ભરી છે.  વિશ્વભરમાં ભારત અગ્રેસર પ્રગતિશીલ દેશ તરીકે ગણના પામી રહ્યું છે. આર્થિક, ઇન્ટ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ, ટેકનોલોજી એમ વિવિધ ક્ષેત્રોમાં ભારત સ્વાવલંબી બની રહ્યું છે. વિકાસના આવા વિવિધ આયામોની વચ્ચે  આપણે સૌએ ચિંતન કરવાનો અને અનુસરવાનો સમય આવી ગયો છે કે એક નાગરિક તરીકેની આપણી ફરજો અંગે આપણી સમજ, સભાનતા  કેટલી વિકસિત કરી શક્યા છીએ.? વિકાસના વિવિધ માપદંડોની સાથે નાગરિક તરીકેની ફરજ (સિવિક સેન્સ)ની સમજ પણ વિકાસનો એક માપદંડ ગણાવો  જોઈએ.

 

ટ્રાફિક સેન્સ, સ્વચ્છતા, રાષ્ટ્રીય સંપતિની જાળવણી વગેરે વિષયોમાં આપણે એક નાગરિક તરીકે પોતાની સમજણ વિકસિત કરવાની જરૂરિયાત લાગે છે. નાગરિક અનુશાસનના પાઠ ભારતના બધા નાગરિકોએ શીખવાની અને વ્યવહારમાં લાવવાની આવશ્યકતા જણાઈ રહી છે. ભારતમાં સડક નિર્માણના આંકડાઓ ગૌરવ અપાવે છે, પરંતુ તેની સામે સડક દુર્ઘટનાના આંકડા આપણને હતપ્રભ કરી દે તેવા છે. ટ્રાફિક સેન્સની સમજણના અભાવે અનેક નિર્દોષ લોકો મૃત્યુ પામે છે. આ અકસ્માતો ઘર પરિવારોને તબાહ કરી નાખે છે. ઉત્તરોત્તર વધી રહેલા અકસ્માતો અંગે ચિંતા અને ચિંતન બંને જરૂર છે.  અકસ્માત થાય ત્યારે થોડા દિવસ મીડિયામાં ચર્ચા બળાપો થાય છે  પરંતુ થોડા દિવસ પછી બધું એમનું એમ થઇ જાય છે..

 

સ્વચ્છતાની બાબતમાં પણ કંઈક આવું જ અનુભવાય છે જાહેર સ્થળોએ ગમે ત્યાં થૂંકવું. ચાલુ કારે દરવાજો ખોલીને માવો થુંકવો, જાહેર સ્થળો પર ગંદકી કરવી આ બધું સામાન્ય હોય એવું અનુભવાય છે ક્યાંક ક્યાંક સરકારી કચેરીમાં કે જાહેર સ્થળોએ કોઈ પાનની પિચકારીઓ ના મારે તે માટે ત્યાં ભગવાનના ફોટા મૂકે છે તો તેને પણ કોઈ બાકી રાખતા  નથી.

 

ભારતની કોઈ વ્યક્તિ વિદેશમાં જઈને પાછા આવે ત્યારે ત્યાંના નાગરિકજીવનના ભરપેટ વખાણ કરતા હોય. જે વ્યક્તિઓ વિદેશમાં જઈને નાગરિક જીવનના નિયમો, સ્વચ્છતા, ટ્રાફિક સેન્સ વગેરેના વખાણ કરતા થાકતા નથી એ જ વ્યક્તિ ભારતમાં પાછા ફરે છે ત્યારે વિદેશમાં પોતે કરેલા વ્યવહારથી તદ્દન વિરુદ્ધ વ્યવહાર કરતા નજરે પડે છે.

 

વાસ્તવમાં આપણા સૌની સામૂહિક પ્રગતિ માટે નાગરિક અનુશાસન (સિવિક સેન્સ) ખૂબ જરૂરી છે. નાગરિક અનુશાસન એ માત્ર ભાષણનો મુદ્દો નથી, પરંતુ આપણે સૌએ એને વ્યવહારમાં લાવવા માટે અગ્રેસર થવું પડશે. સિવિક સેન્સની સમજણ ઓછી હોવાના કારણે એક આખી પેઢીનો બેફામ રીતે ઉછેર થઈ રહ્યો છે. આ અંગે સભાનતા લાવવાની અત્યંત આવશ્યકતા છે. નાગરિક અનુશાસનના સંસ્કાર ઘર-પરિવાર, શાળાથી શરૂ થવા જોઈએ.. આજે શાળાઓ અને પરિવારોમાં પણ આવા અનુશાસનનો આગ્રહ ઘટતો જોઈ શકાય છે. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ જવા કે ફરવા જવા માટે ઉંમરની લાયકાત ન હોવા છતાં વાલીઓ તેમને મુક્તપણે વાહન આપતા પણ અચકાતા નથી. જે માતા પિતા પોતાના ટીનેજ બાળકોને વાહનો આપી દે છે તેમણે પોતે અંદર ઝાંખીને નિર્ણય કરવો જોઈએ કે શું આ યોગ્ય છે?  શાળાઓ પણ આવા વિદ્યાર્થીઓને શાળામાં વાહનો લાવવાની છૂટ આપે છે. આ વિદ્યાર્થીઓ રસ્તા પર બેફામ રીતે વાહન ચલાવતા હોય છે જે ક્યારેક ક્યારેક અકસ્માતમાં પોતાને તથા અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આમાંથી બહાર લાવવા માટે પરિવાર અને શાળાઓએ સંસ્કાર માટેનું એક સક્ષમ માધ્યમ બનવું જોઈએ.

 

આપણે ભારતીય નાગરિકોની સ્કિલ, સંપન્નતા ખૂબ વધારે છે. સરકાર જ બધી સમસ્યાઓનો સંપૂર્ણ હલ કરશે  એ માનસિકતામાંથી બહાર આવી જવાબદાર નાગરિક તરીકે  અનુશાસનનો ગુણ જાગૃત થાય તે બાબતે આપણે સૌ સંવેદનશીલ બનીએ અને વ્યવહારમાં લાવીએ તો ભારતની યશોગાથા  પુરપાટ ઝડપે દોડશે. સર્વહિતકારક નાગરિક અનુશાસન આપણા સમાજનું અંગ બને તે સમયની માગ છે.

 

 

 


 

 

 

 

 

Wednesday, 11 September 2024

મન કે હારે હાર હે મન કે જીતે જીત.... આ કહેવત જેટલી વ્યક્તિને લાગુ પડે છે તેટલી સમાજ પર પણ લાગુ પડી શકે છે. વિજયની આકાંક્ષા સમાજમનને શક્તિ  પ્રદાન કરે છે. જ્યારે  સમાજ   પોતાની શક્તિઓને ભૂલીને આત્મગ્લાની અનુભવતો   હોય ત્યારે કોઈ અદ્વિતીય વિજયની આકાંક્ષા સમાજની આ માનસિકતામાંથી બહાર લાવી શકે છે. આત્મવિસ્મૃતિની  માનસિકતાના કારણે સમાજ અકર્મણ્ય થઈ જતો હોય છે.

 

19 મી સદીના અંત ભાગમાં ભારતની સ્થિતિ કંઈક આવી જ હતી. સમાજ આવી અકર્મણ્યતા અને આત્મગ્લાની અનુભવતો હતો. ક્યાંયથી કોઈ આશાનું કિરણ નહોતું. સમાજ પરાધીન હતો. આત્મવિશ્વાસ ગુમાવી ચુક્યો હોવાના કારણે સ્વાધીનતા માટે પ્રયત્ન કરવામાં પણ ઉદાસીન જણાતો હતો.. આવી પૃષ્ઠભૂમિમાં 11 સપ્ટેમ્બર 1893માં શિકાગોની સર્વ ધર્મ પરિષદમાં સનાતન હિન્દુ ધર્મના પ્રતિનિધિ યોદ્ધા યુવા સંન્યાસી સ્વામી વિવેકાનંદ દ્વારા થયેલો દિગ્વિજયી ચમત્કાર ભારતના સમાજ માટે ચમત્કારિક ઘટના હતી. ભારતના માનસને ઝંકૃત કરીને સુપ્ત સમાજને જાગૃત કર્યો. અમે પણ કંઈ કરી શકીએ છીએ, આપણી પોતાની સંસ્કૃતિ, પરંપરા અને  ધર્મમાં વિશ્વ વિજયની ક્ષમતા છે એવી સભાનતા સમાજમાં જાગૃત કરવા માટે પર્યાપ્ત થઈ. શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં થયેલ આધ્યાત્મિક વાતો આપણા ભારતના સર્વતોમુખી વિશ્વ વિજયનો શુભારંભ કહી શકીએ..

 

સ્વામી વિવેકાનંદે મૃત:પ્રાય હિન્દુ સમાજની સમક્ષ વિશ્વ વિજયનું ઉદ્દાત્ત લક્ષ્ય આપ્યું...સ્વામી વિવેકાનંદે સ્પષ્ટ કહ્યું હતું ભારત વિશ્વ વિજય કરશે તે નિશ્ચિત છે પરંતુ આ વિજય રાજનૈતિક, સૈન્યબળ અથવા આર્થિક શક્તિથી નહિ, પરંતુ આધ્યાત્મિક શક્તિ દ્વારા જ થશે. સ્વામીજીની સિંહગર્જના હતી ભારત ઉઠે અને પોતાની આધ્યાત્મિક શક્તિથી સંપૂર્ણ વિશ્વનો વિજય પ્રાપ્ત કરે..

 

આજના  દિગ્વિજય દિન પર આપણે રાષ્ટ્રીય જીવનના વિજયની આકાંક્ષાને પુનઃ જાગૃત કરવ સંકલ્પ લઈએ.....



Wednesday, 28 August 2024

શ્રીમદ ભગવદ્ ગીતા તમને ક્યારેય હારવા નહિ દે....

 


પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ  ભાકરે  કાંસ્ય પદક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું. 128 વર્ષના ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જેમાં ભારતની મહિલાએ શુટિંગમાં ભાગ લઈને ભારતને મેડલ અપાવ્યો.. મેડલ મેળવ્યા બાદ મનુએ ખૂબ જ સરસ વાત કરી છે. એ કહે છે, ”આ મેડલ મેળવવામાં શ્રીમદ ભગવદ્ ગીતાનો મહત્વનો રોલ છે. હું દરરોજ ગીતા વાંચતી હતી,  આ મહાન ગીતામાંથી હું ઘણું શીખી છું. જ્યારે હું ફાઈનલ મેચ દરમિયાન લક્ષ્ય રાખતી હતી ત્યારે ગીતા મારા મગજમાં દોડતી હતી. ગીતામાં કહ્યું છે કે, તમારા કર્મ પર ધ્યાન કેન્દ્રિત કરો, પરિણામ પર નહિ, તેથી મેં તેને ધ્યાનમાં રાખીને લક્ષ્ય રાખ્યું." ભગવદ ગીતા મને મેડલ સુધી લઈ ગઈ.

 

ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના રૂપમાં પ્રસ્તુત છે. યુદ્ધભૂમિમાં બંને સેનાઓની વચ્ચે શ્રી ભગવાન આ  ભગવદ્ ગીતાનું જ્ઞાન કરી રહ્યા છે. આપણને થાય કે યુદ્ધનો સમય હોય, બંને સેનાઓ સામસામે ઉભી હોય, યુદ્ધની ઘોષણા શંખનાદ દ્વારા થઈ ગઈ હોય, આક્રમણ કોઈપણ સમયે થઈ શકે એવા સમયે કોઈ ગીતા કહી શકે?

 

અહિ શ્રીકૃષ્ણ ગુરુ છે અને અર્જુન શિષ્ય. અર્જુને જેવું અનુભવ્યું તેવું બોલ્યો અને શસ્ત્ર હેઠા મૂકીને શ્રીકૃષ્ણને કહ્યું કે મને સમજણ આપો નહિ તો ત્યાં સુધી હું યુદ્ધ કરવાનો નથી. અર્જુનમાં શીખવાની તીવ્ર ઉત્કંઠા હતી. કોઈપણ રીતે એ શીખવા તૈયાર હતો.  અર્જુનના મનમાં જે હતું તે બધું પહેલા ભગવાનને કહી દીધું અને ચૂપ થઈ ગયો. તે  પછી ભગવાન અર્જુનને શીખ આપે છે. તે બધું સાંભળ્યા પછી 18મા અધ્યાયને અંતે અર્જુને કહ્યું “કરિષ્યે વચનમ તવ”.

 

વાસ્તવમાં ગીતા અર્જુન માટે કહેવાઈ નથી. ગીતા આપણા માટે રચાઈ છે. અર્જુનને તો ભગવાન પોતાનું વિરાટ સ્વરૂપ દેખાડી દેત તો અર્જુન ચૂપચાપ લડવા તૈયાર થઈ જાત અથવા કૌરવોને પોતાનું વિરાટ રૂપ દેખાડી દેત તો કૌરવો યુદ્ધનું મેદાન તો શું હસ્તિનાપુર છોડીને પણ ભાગી જાત. ગીતા કુરુક્ષેત્રના યુદ્ધ માટે નહિ, આપણા જીવનસંગ્રામ માટેનો ગ્રંથ છે. ગીતાની રચના એવી છે કે એમાં કહ્યું છે બધું અર્જુનને પણ સમજવાનું છે સમગ્ર માણસ જાતને.

 

ગીતા માનવીય મનનું વિશ્લેષણ છે. મનમાં ચાલતી ગૂંચવણોના ઉકેલ ગીતામાંથી મળી આવવાની શક્યતા છે. કૃષ્ણને ભગવાન માનીને નહિ તેને એક શિક્ષક માનીને, ફિલોસોફર માનીને એની વાતો સમજીએ. એક અર્થમાં અર્જુન કૃષ્ણ વચ્ચેના સંવાદના રૂપમાં ગીતા આપણને ડહાપણ શીખવે છે. જ્યારે મનમાં શંકા હોય, મૂંઝવણ હોય, ડિપ્રેશન જેવું લાગે ત્યારે કૃષ્ણના સંવાદના રૂપમાં ગીતા એક માનસશાસ્ત્રીનું કામ કરે છે.

 

પ્રથમ અધ્યાયનો અર્જુન અને અઢારમા અધ્યાયના અંતે જે અર્જુન છે તે પહેલા જેવો અર્જુન નથી, રૂપાંતરિત થયેલો અર્જુન છે. હું યુદ્ધ કરીશ નહીં એમ કહીને મૌન થયેલો અર્જુન માનસિક રોગી જેવો છે. એ જ અર્જુન 18 મા અધ્યાયના અંતે કહે છે આપની કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે અને મને સ્મૃતિ પ્રાપ્ત થઈ છે સંશય રહિત હું ઉભો થયો છું. આપની આજ્ઞા પાળીશ. હવે રોગીષ્ઠ અર્જુન નથી, સ્વસ્થ થયેલો અર્જુન છે. શ્રીકૃષ્ણ માનસિક રોગીને નિરોગી બનાવે છે.

 

યુવાનોએ શીખવાનું છે કે ભગવદ્  ગીતા કોઈ ધર્મગ્રંથ જ નહિ, તે જીવન જીવવાની કળા શીખવે છે. ઊંચા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે  ભગવદ્ ગીતા વાંચો. ભગવદ્ ગીતામાં કહ્યું છે, ‘તમારા અધિકારમાં માત્ર કર્મનો જ વિચાર કરવો, પરિણામ માટે ચિંતા ન કરવી કે અકર્મણ્ય પણ ના બનવું. ભગવદ્ ગીતા પ્રમાણે કર્મ એ માત્ર ફળ માટે કે સફળતા માટે નથી પરંતુ પોતાની ક્ષમતા દ્વારા પોતે કોઈ શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી નમ્રતા સાથે સફળતાની સાથેસાથે સાર્થકતાની ઉપાસના છે.

 

ભગવાન કહે છે કાર્ય કરતી વખતે આપણું મન ભૂતકાળની યાદો અને ભવિષ્યની ચિંતામાં ન રહેતાં વર્તમાનમાં રહેવું જોઈએ. ક્યારેક આપણે જ આપના મનને કહીએ છીએ મને શું મળશે? શું મારી અપેક્ષા અનુરૂપ મળશે? આમ મન આવા કર્મફળની આશામાં જ ભટકતું રહે છે. ભગવાન કહે છે આપણે કર્મફળ અંગેની ચિંતાઓ અને આગ્રહોનો ત્યાગ એટલે કે કર્મફળ ત્યાગની ભાવનાથી કર્મ કરતાં રહેવું જોઈએ.. ફળ જરૂરથી મળવાનું જ છે અને મળીને જ રહેશે. પણ તે મારા આગ્રહો પ્રમાણે જ મળે તેવી ચિંતા છોડવી જોઈએ.

 

વર્તમાનમાં  પ્રગતિનો ખ્યાલ છે કે ઓછામાં ઓછું કામ અને વધુને વધુ પૈસો. બધું શોર્ટકટમાં મળી જશે એવી ભ્રમણા ફેલાવવાની જાળ ફેલાઈ રહી છે ત્યારે  ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે દરેક વ્યક્તિમાં શ્રેષ્ઠ કાર્યો કરવાની ક્ષમતા રહેલી જ છે.  પણ કોઈપણ વાત શોર્ટકટથી સિદ્ધ થઈ જાય એવું નથી. જે લોકો શ્રેષ્ઠ થયા છે એ અચાનક બન્યા નથી.

 

જીવન કેમ જીવવું એ આપણને ગીતા શીખવે છે અને જીવનની દરેક મુશ્કેલીનું સમાધાન પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં છે.  ભગવદ્ ગીતા મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે. તે માત્ર કારકિર્દી ઘડવાનો કીમીયો બતાવનાર ગ્રંથ નથી પણ વ્યક્તિ નિર્માણનો ગ્રંથ છે. શ્રીમદ ભગવદ્ ગીતા તમને ક્યારેય હારવા નહિ દે અને ધારો કે કદાચ પણ તમે હાર્યા તો એ તમને ક્યારેય તૂટવા નહિ દે.```

 

ડો. નિખિલ ખમાર

પાટણ