Saturday, 3 December 2022

ગીતા જયંતી..

આજે માગશર સુદ એકાદશી.. શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતી..
મહાભારતકાળમાં આજના દિવસે શ્રીકૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. શ્રીમદ્ ભગવદ્ ગીતા એટલે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવેલી આધ્યાત્મિક કવિતા. મહાભારતના યુદ્ધમાં પ્રથમ દિવસે અર્જુન પોતાના મિત્ર અને સારથી બનેલા શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાની વચ્ચે લેવાનું કહે છે. બંને સેનાનું નિરીક્ષણ કરતાં તેને લાખો લોકોના મૃત્યુનો અંદાજ આવે છે. યુદ્ધના આવા ભયાનક પરિણામથી ગભરાઈને યુદ્ધ ન કરવાના વિચારો આવે છે. તેના હાથમાંથી ગાંડીવ પડી જાય છે કોઈ માર્ગ ન સૂઝતાં તે શ્રીકૃષ્ણને માર્ગદર્શન કરવાનું કહે છે. કૃષ્ણ અને અર્જુનના આ સંવાદો 18 અધ્યાય સ્વરૂપે ગીતા તરીકે પ્રચલિત છે. તે 700 શ્લોકમાં રચાયેલ છે..
શ્રીમદ ભગવદગીતા એ હિંદુ ધર્મનો પ્રાચીન અને પવિત્ર ગ્રંથ ગણાતો હોવા છતાં એ ફક્ત હિન્દુ માટે સીમિત ન રહેતા સંપૂર્ણ માનવ સમાજ માટેનો ગ્રંથ ગણાય છે.ગીતા શાશ્વત છે અને આજના સમયમાં સર્વ ક્ષેત્રે ઉપયોગી છે. વિશ્વના અનેક ચિંતકોએ તેમાંથી માર્ગદર્શન લીધું છે.ગીતાનું મહત્વ અલૌકિક છે. તેને સ્મૃતિ ગ્રંથ પણ કહેવામાં આવે છે. જીવનની વિકટ પરિસ્થિતિમાં સમસ્યાઓના ઉકેલ આપણને ગીતામાંથી મળી રહે છે.
એક વખત ગીતાનું વાંચન કે શ્રવણ કર્યા પછી મનુષ્યને ક્યાંય મૂંઝવણમાં રહેવાનું, અધર્મ આચરવાનું કે જીવનમાં દિશાહીન રહેવાનું બનતું નથી. ગીતા એ દિવ્ય વિચારોનો સ્ત્રોત છે. ગીતા એ ભારત દેશની ઓળખ છે. આપણી અંદર એક નવો પ્રાણ પૂરવાનું કામ જો કોઈ ગ્રંથ કરી શકે તો તે ગીતા છે.
ગીતા જયંતીના પાવન દિવસે સૌને શુભકામનાઓ..

No comments:

Post a Comment